મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત અચાનક ખરાબ થઈ હતી. જે બાદ તેને થાણેની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નિષ્ણાત ડૉક્ટરોની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર છે.
સૂત્રોએ જણાવ્યું કે, છેલ્લા થોડા દિવસોથી સતત વ્યસ્ત રાજકીય કાર્યક્રમો, કામના ભારે દબાણની અસર તેમના સ્વાસ્થ્ય પર પડી હતી. શુક્રવારે મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું ત્યારે પણ તેમને તાવ હતો અને નબળાઈ અનુભવી રહ્યા હતા. જોકે તેમ છતાં તેમણે કામ શરૂ રાખ્યું હતું.
તબિયત વધુ ખરાબ થતાં તેમને તાત્કાલિક થાણેની હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. પક્ષના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એકનાથ શિંદેને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવાાં આવ્યા છે, તેમના સ્વાસ્થ્યને લઈ કોઈ ગંભીર ચિંતાની વાત નથી.
એકનાથ શિંદે છેલ્લા થોડા દિવસોથી રાજકીય ગતિવિધિમાં ખૂબ સક્રિય હતા. ઑપરેશન ટાઈગર અંતર્ગત તેમણે મોટી રાજકીય રણનીતિ પર કામ કર્યું હતું. આ અભિયાન અંતર્ગત ઉદ્ધવ ઠાકરે જૂથના છ સાંસદો અને એમએલસી સચિન અહીરે શિંદેની શિવસેનામાં જોડાયા હતા.
આ અભિયાનને સફળ બનાવવા માટે એકનાથ શિંદે સતત સક્રિય રહ્યા હતા અને દિલ્હીની મુસાફરી પણ કરી હતી. તેમની ખરાબ તબિયતની અસર થાણેમાં આયોજિત એક રાજકીય કાર્યક્રમ પર પણ પડી હતી.