મુંબઈ: બોલીવુડના દિગ્ગજ નિર્દેશક આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર: ધ રિવન્જ' હાલમાં સિનેમાઘરોમાં સુનામી લાવી રહી છે. આ ફિલ્મે માત્ર 12 દિવસના ટૂંકા ગાળામાં વિશ્વભરમાં 1400 કરોડ રૂપિયાનો ગ્રોસ બિઝનેસ કરીને ભારતીય ફિલ્મ ઉદ્યોગના અનેક જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. દર્શકો અને વિવેચકો બંને તરફથી મળી રહેલા અદ્ભુત પ્રતિસાદને કારણે આ ફિલ્મ વર્ષ 2026ની સૌથી મોટી હિટ સાબિત થઈ રહી છે. આ ભવ્ય સફળતાથી ફિલ્મની આખી ટીમ અત્યારે સાતમા આસમાને છે.
ફિલ્મમાં 'મેજર ઈકબાલ' નામના ખૂંખાર વિલનની ભૂમિકા ભજવનાર અર્જુન રામપાલે પોતાની એક્ટિંગથી સૌના દિલ જીતી લીધા છે. સોશિયલ મીડિયા પર દર્શકો તેમના પાત્ર પ્રત્યે જે રીતે નફરત વ્યક્ત કરી રહ્યા છે, તે અર્જુનની શાનદાર એક્ટિંગનો જ પુરાવો છે. આટલી મોટી સફળતા જોઈને અર્જુન રામપાલ અત્યંત ભાવુક થઈ ગયા છે અને તેમણે પોતાના ફેન્સનો સોશિયલ મીડિયા પર આભાર માન્ય હતો. તેમણે જણાવ્યું કે ફિલ્મની આ સક્સેસ તેમના માટે કોઈ સપનાથી ઓછી નથી.
અર્જુન રામપાલે ઇન્સ્ટાગ્રામ પર એક હૃદયસ્પર્શી વીડિયો શેર કર્યો છે, જેમાં તેની મોડલિંગના દિવસોથી લઈને 'મોક્ષ' ફિલ્મ અને હવે 'ધુરંધર' ના સેટ પરના પડદા પાછળના (BTS) દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં ફિલ્મનું લોકપ્રિય ગીત 'ફિર સે' ચાલી રહ્યું છે, જે એક્ટરના સંઘર્ષ અને સફળતાની લાગણીઓને દર્શાવે છે. અર્જુને લખ્યું કે, "નાનપણમાં કાઉબોય બનવાના સપના જોવાથી લઈને આજે આ મુકામ સુધીની સફર મારા માટે આશીર્વાદ સમાન છે."
પોતાની પોસ્ટમાં અર્જુને આદિત્ય ધર અને ઓજસ ગૌતમનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. આ સાથે જ તેમણે ફિલ્મના હીરો રણવીર સિંહને પોતાનો 'બબ્બર શેર' કહીને સંબોધ્યો હતો. આભાર માનવાની યાદીમાં તેમણે સંજય દત્ત, આર. માધવન, રાકેશ બેદી અને શ્વેતા જેવા કલાકારોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે શાશ્વત સચદેવાના સંગીત અને એક્શન ટીમના પણ વખાણ કર્યા છે. અર્જુને અંતમાં યુવા કલાકારોને સંદેશ આપતા કહ્યું કે, જો ધીરજ અને મહેનત સાથે ઝનૂન હોય, તો સપના ચોક્કસપણે હકીકત બને છે.