ધારાવી પુનર્વિકાસમાં સ્થાનિક રહેવાસીઓના હિત, રોજગાર અને કુંભારવાડાના સાંસ્કૃતિક વારસાને અગ્રતા અપાશે
મુંબઈ: ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ સિંગાપોર અને હોંગકોંગમાં આધુનિક હાઉસિંગ ડેવલપમેન્ટની જેમ અમલમાં મૂકવામાં આવશે, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.
પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો માર્ચ 2028 સુધીમાં પૂર્ણ થવા અને સોંપવાનો લક્ષ્યાંક છે. સ્થાનિક રહેવાસીઓના હિત, આજીવિકા અને અનન્ય ઓળખ જાળવી રાખવી એ પ્રોજેક્ટની પ્રાથમિકતા હોવાનું પણ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
આ પ્રોજેક્ટ એક વિશાળ શહેરી નવીકરણ પહેલ છે જેનો ઉદ્દેશ્ય મધ્ય મુંબઈમાં ઝૂંપડપટ્ટી વસાહતને આધુનિક, સંકલિત ટાઉનશીપમાં પરિવર્તિત કરવાનો છે. આ પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા અદાણી ગ્રુપ સાથે ભાગીદારીમાં અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. મુંબઈમાં એક બેઠકમાં પ્રોજેક્ટની સમીક્ષા કરતા ફડણવીસે જણાવ્યું હતું કે પુનર્વિકાસને પગલે ધારાવીના રહેવાસીઓનો સર્વાંગી વિકાસ થશે.
ફડણવીસે કુંભારવાડાના માટીકામના કેન્દ્રને જાળવવાની જરૂરિયાત પર પણ ભાર મૂકી તેને ધારાવીના સાંસ્કૃતિક અને પર્યટન વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો હતો અને અધિકારીઓને તેની વિશિષ્ટતાને સુરક્ષિત રાખવા માટે સલાહ લેવા નિર્દેશ આપ્યા હતા.
ફડણવીસે એમ પણ જણાવ્યું હતું કે પુનર્વિકાસ યોજનાના ભાગ રૂપે પ્રસ્તાવિત નેચર પાર્ક ઊભો કરવો જોઈએ અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે વૃક્ષોનું પ્રત્યારોપણ અને તાજા વાવેતરના પગલાં લેવા હાકલ કરી હતી.
અધિકારીઓને પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 2028 સુધીમાં પાત્ર રહેવાસીઓને ઓછામાં ઓછા 10 ઘર આપવાની યોજના બનાવવા અને મંજૂરીઓ અને પરવાનગીઓ ઝડપી બનાવવા માટે એક ખાસ સિંગલ-વિન્ડો મિકેનિઝમ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. ધારાવીમાં પુનર્વસન ઇમારતો 42 મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે, જ્યારે માટુંગામાં પુનર્વસન કાર્ય 39 મહિનામાં પૂર્ણ થવાનું છે.
(પીટીઆઈ)