નવી દિલ્હી : દિલ્હીમાં માર્ચ માસમાં લાગેલી ભયાનક આગની દુર્ઘટના લોકો હજુ ભૂલી શકયા નથી. ત્યારે આજે તકીયા કાલે ખામાં લાગેલી આગમાં ત્રીસ ઝુંપડા બળીને રાખ થઈ છે. આ દુર્ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. જયારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને 12 લોકોના જીવ બચાવ્યા હતા.
આગ લાગવાના કારણોની તપાસ
જોકે, આગ કેવી રીતે લાગી છે તે જાણી શકાયું નથી. તેમજ હાલ આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આગ એવા વિસ્તારમાં લાગી હતી જ્યાં જૂના ફર્નિચર, લાકડા અને અન્ય જ્વલનશીલ પદાર્થોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જેના કારણે ભારે ધુમાડો ફેલાયો હતો.
સમયસર એક્શનના લીધે એ 12 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ટીમોએ ઘરનું સ્થળાંતર કર્યું અને પરિવારોને અસરગ્રસ્ત વિસ્તારથી દૂર જવા માટે સમજાવ્યા હતા. તેમજ સમયસર એક્શનના લીધે આગ વધુ ફેલાતા પહેલા ટીમોએ 12 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
નવ એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી હતી
આ ઘટનાના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડ, BSES અને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સાવચેતી ભાગરૂપે નવ એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી હતી. તેમજ ભીડને નિયંત્રિત કરવા, અને કટોકટી વાહનોની અવરજવરમાં કોઈ અવરોધ ન આવે તે માટે વધારાના પોલીસ કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા.