નવી દિલ્હી: સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ સંજય કપૂરની મિલકત અંગેના કેસની સુનાવણી દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહી છે. આ મામલે દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે. કોર્ટે સ્પષ્ટ જણાવ્યું જે જ્યાં સુધી મામલો સંપૂર્ણપણે ઉકેલાઈ ન જાય ત્યાં સુધી મિલકતનું રક્ષણ કરવું જરૂરી છે.
હાઈકોર્ટ આ નિર્ણયને સંજય કપૂરની પત્ની પ્રિયા કપૂર માટે એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે હવે તે સંજય કપૂરની મિલકત અંગે કોઈ મનસ્વી નિર્ણયો લઈ શકશે નહીં. દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે જણાવ્યું કે પ્રિયા કપૂર સંજય કપૂરની સંપત્તિનું મેનેજમેન્ટ કરી શકાશે નહીં.
સંજય કપૂરની પૂર્વ પત્ની કરિશ્મા કપૂરના બાળકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા, દિલ્હી હાઈકોર્ટે સંજય કપૂરની મિલકત અંગે કડક વલણ દાખવ્યું હતું.
કોર્ટે કહ્યું કે કેસ પેન્ડિંગ રહે ત્યાં સુધી મૃતકની સંપત્તિ સાચવવી જરૂરી છે, વસિયતનામાની વાસ્તવિકતા સુનાવણીનો વિષય છે અને તે દરમિયાન, સંજય કપૂરની સંપત્તિનું વિસર્જન ન થવું જોઈએ.
કોર્ટે અવલોકન કર્યું કે પ્રથમ દ્રષ્ટિએ કેસ વાદીઓની તરફેણમાં છે. કોર્ટે સંજય કપૂરની સંપત્તિના સંરક્ષણ અંગે વચગાળાના નિર્દેશો પસાર કર્યા.
ન્યાયાધીશ સિંહે પ્રિયા કપૂરને ત્રણ ભારતીય કંપનીઓમાં ઇક્વિટી શેરહોલ્ડિંગ ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. પીએફ ફંડની રકમ ઉપાડવાથી માંડીને કેટલીક કલાકૃતિઓના વેચવા પર પણ પ્રતિબંધ રહેશે.
પ્રિયા કપૂરને કેટલાક ભારતીય ખાતાઓમાંથી પૈસા ઉપાડવા અને સંજય કપૂર પાસે રહેલી ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.