Wed Aug 19 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:16 Aug 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-08-16 08:31:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-08-16 21:13:34

UGC-NET ની અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્ર  ફરી યોજાશે

દેશમાં જૂન 2026માં યોજાયેલી UGC-NET ની અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્ર વિષયની પરીક્ષા ફરીથી લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ આ ત્રણ વિષયોના પ્રશ્નપત્રોમાં વિવિધ ભૂલો શોધી કાઢ્યા બાદ આ નિર્ણય લીધો છે.

2026-08-16 20:29:19

કેરલમમાં ભાજપને મોટો આંચકો, એસ. દેવને ભાજપ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું

કેરલમમાં ભાજપને મોટો આંચકો લાગ્યો છે. જેમાં અભિનેતા એસ. દેવને ભાજપ ઉપાધ્યક્ષ પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે આ જાહેરાત કાનચીકુલાંગરા દેવી મંદિરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કરી હતી.

2026-08-16 19:48:41

પંજાબ પોલીસે આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું, 690 ગ્રામ IED જપ્ત

પંજાબના અમૃતસર જિલ્લામાં ગ્રામીણ પોલીસે એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. જેમાં પોલીસે 690 ગ્રામનો IED જપ્ત કર્યો હતો. જે વિવિધ પોલીસ ઓફિસને નિશાન બનાવવા એકત્ર કરવામાં આવ્યો  હતો.

2026-08-16 19:10:00

ટીએમસી નેતા આશિષ બેનર્જીની આત્મહત્યા અંગે મમતા બેનર્જી આક્ષેપ, કહ્યું ખૂબ માનસિક દબાણમાં હતા

પશ્ચિમ બંગાળમાં ટીએમસી નેતા આશિષ બેનર્જીની આત્મહત્યાએ અનેક સવાલો ઉભા કર્યા છે. પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા આશિષ બેનર્જીની આત્મહત્યા અંગે મમતા બેનર્જીએ અનેક આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે તેમને ખોટા આક્ષેપ કરીને બદનામ કરવામાં આવતા હતા. તેમજ તે ખૂબ જ માનસિક દબાણમાં હતા.

2026-08-16 18:28:22

બીજા દિવસની રમત પૂરી, ભારત 9/460

ગૉલમાં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે પહેલા દાવમાં રવિવારની બીજા દિવસની રમતના અંત સુધીમાં નવ વિકેટે 460 રન બનાવ્યા હતા. કુલદીપ યાદવ 12 રને અને પ્રસિદ્ધ ક્રિષ્ના એક રને દાવમાં હતો. દેવદત્ત પડિક્કલે 167 રન બનાવ્યા બાદમાં સ્ટમ્પ-આઉટમાં વિકેટ ગુમાવી હતી. સોમવારે મેઘરાજા નહીં નડે તો ભારતીય બોલર્સ યજમાન ટીમના બૅટ્સમેનોને સીમિત રાખીને ફૉલો-ઑન માટે ફરજ પાડી શકશે. ભારતના બોલર્સમાં ક્રિષ્ના, કુલદીપ, સિરાજ, જાડેજા અને માનવ સુથારનો સમાવેશ છે.

 

2026-08-16 18:07:15

હરસિમરત કૌરે સુખબીર સિંહ બાદલ પર થયેલા હુમલાની NIA દ્વારા તપાસની માંગ

શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલ પર નાંદેડમાં થયેલા હુમલાની એનઆઈએ દ્વારા તપાસ કરાવવાની અકાલી દળના સાંસદ હરસિમરત કૌરે માંગ કરી છે. તેમણે આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે.

2026-08-16 17:57:00

જુરેલની હાફ સેન્ચુરી, ભારતની સ્થિતિ વધુ મજબૂત

શ્રીલંકા સામે ગૉલની પ્રથમ ટેસ્ટમાં ભારતે એક બૅટ્સમૅનની સેન્ચુરી અને બે ખેલાડીની હાફ સેન્ચુરીની મદદથી પ્રથમ દાવમાં સ્થિતિ વધુ મજબૂત કરી લીધી છે. રવિવારના બીજા દિવસે વરસાદના મોટા વિઘ્ન બાદ ભારતનો સ્કોર 113 ઓવરને અંતે 8/447 હતો. ધ્રુવ જુરેલ ટેસ્ટ-કરીઅરની બીજી હાફ સેન્ચુરી ફટકાર્યા પછી વિકેટ ગુમાવી હતી. તેણે 68 બૉલમાં 51 રન બનાવ્યા હતા. પડિક્કલના 167 રન અને કેએલ રાહુલના 82 રન બાદ જુરેલનું આ ઇનિંગ્સમાં મોટું યોગદાન હતું.

 

2026-08-16 17:23:26

વિદેશ નીતિ પર જયરામ રમેશનો પ્રહાર, કહ્યું આ 'ડિપ્લોમેસી' નહિ 'હગ્લોમેસી' છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પીએમ મોદી પર વિદેશ નીતિ અંગે આપેલા નિવેદન મુદ્દે  રાજનીતિ ગરમાઈ છે. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પીએમ મોદી સમજ્યા હતા કે લોકોને ગળે લગાવવા જ વિદેશ નીતિ છે. જેની પર ભાજપે વળતો પ્રહાર કર્યો હતો. તેની બાદ હવે કોંગ્રેસ નેતા જયરામ રમેશે "હગ્લોમેસી " શબ્દનો ઉપયોગ કરીને વિદેશ નીતિને નબળી ગણાવી હતી.

2026-08-16 16:31:16

ઇન્ડોનેશિયામાં ભૂકંપથી 51 લોકોના મોત, 341 આફટરશોકથી લોકો ભયભીત

ઇન્ડોનેશિયામાં શનિવારે  આવેલા 7.7 ની તીવ્રતાના ભૂકંપમાં 51 લોકો માર્યા ગયા હતા અને આશરે 5,000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેમજ તેની બાદ અત્યાર સુધી 341 જેટલા આફ્ટરશોક અનુભવાયા છે.

2026-08-16 16:08:57

ભારતે 50 રનમાં રાહુલ સહિત ત્રણ વિકેટ ગુમાવી, પણ એકંદરે સ્થિતિ સારી

ગૉલમાં વરસાદને કારણે લગભગ સાડાચાર કલાકનો સમય બગડ્યા બાદ ભારત-શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસની રમત ફરી શરૂ થઈ તો હતી, પણ ભારતે સાત ઓવરની રમત બાદ 11 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ઋષભ પંત (39 રન) 81મી ઓવરમાં કૅચઆઉટ થઈ ગયો હતો અને ત્યારે શનિવારે રિટાયર હર્ટ થયેલો કે. એલ. રાહુલ ફરી બૅટિંગ કરવા આવ્યો હતો, પણ તે માત્ર પાંચ રન બનાવ્યા બાદ 82 રનના પોતાના સ્કોર પર શૉર્ટ લેગના સ્થાને કૅચ આપી બેઠો હતો. સેન્ચુરિયન દેવદત્ત પડિક્કલ સાથે ધ્રુવ જુરેલ માંડ સેટલ થયો ત્યાં તો ખુદ પડિક્કલ વિકેટકીપર ડિકવેલાના હાથે સ્ટમ્પ-આઉટ થઈ ગયો હતો. પડિક્કલે 230 બૉલમાં 167 રન બનાવ્યા હતા. 94મી ઓવરને અંતે ભારતનો સ્કોર પાંચ વિકેટે 364 હતો. જુરેલ (19 રન) સાથે રવીન્દ્ર જાડેજા (ચાર રન) દાવમાં હતો.

2026-08-16 15:25:23

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી, સેનાએ લશ્કરી કાર્યવાહી હાથ ધરી

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી જોવા મળી રહી છે. જેમાં હવે પાકિસ્તાન સુરક્ષા દળોએ ખારન જિલ્લામાં લશ્કરી ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં લજજે વિસ્તારમાં લશ્કરી કાર્યવાહી ઉપરાંત હવાઇ હુમલા પણ કરવામાં આવ્યા હતા. તેમજ લશ્કરી ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

2026-08-16 13:37:54

મુંબઈમાં નૌકાદળ કર્મચારી, તેની પત્ની અને બે બાળકોના મૃતદેહ મળ્યા

મુંબઈના અત્યંત સુરક્ષિત અને હાઈ-સિક્યોરિટી વિસ્તાર ગણાતા કૂલાબા સ્થિત નેવી નગર વિસ્તારમાં એક જ પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળી આવતા ભારે સસનાટી મચી ગઈ છે. મૃતકોમાં ભારતીય નૌકાદળના એક કર્મચારી, તેમની પત્ની અને 2 નાના બાળકો સામેલ છે.  પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા આ પરિવારે આત્મહત્યા કરી હોઈ શકે છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. ચારેય મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યા છે.

2026-08-16 12:16:53

વારાણસી એરપોર્ટ પર ફાયરિંગ, 2 લોકો ઘાયલ; આઝમગઢના એક યાત્રીની પિસ્તોલથી ગોળીબાર

ઉત્તર પ્રદેશના વારાણસી એરપોર્ટ પર રવિવારે વહેલી સવારે થયેલા ગોળીબારમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. ઈજાગ્રસ્તોમાં એક મહિલા અને એક યુવકનો સમાવેશ થાય છે. ફાયરિંગની ઘટના આઝમગઢના એક મુસાફરની પિસ્તોલથી થઈ છે. તે મુસાફરે પોતાની પિસ્તોલ અને મૈગેઝિન વિશે ડિક્લેર પણ કર્યું હતું. મળેલી માહિતી મુજબ, પિસ્તોલથી અચાનક ગોળી છૂટી ગઈ અને જમીન પર અથડાયા પછી નજીકમાં ઊભેલા એક યુવક અને મહિલાને વાગી. મહિલાની જાંઘ પર અને યુવકના હાથમાં ગોળી વાગી છે. બંનેને વારાણસીના હરહુઆ વિસ્તારમાં સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આઝમગઢના જે મુસાફરની પિસ્તોલથી ગોળી છૂટી, તે એર ઇન્ડિયાની ફ્લાઇટથી મુંબઈ જવાનો હતો.

2026-08-16 11:25:27

પ્રથમ ટેસ્ટ: વરસાદને લીધે રમત શરૂ નથી થઈ શકી

ગૉલમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે શરૂઆતથી જ વરસાદનું વિઘ્ન શરૂ થઈ જતાં રમત હજી શરૂ થઈ શકી નથી. શનિવારના પ્રથમ દિવસની રમતને અંતે ભારતનો સ્કોર બે વિકેટે 288 રન હતો. દેવદત્ત પડિક્કલ 131 રન અને રિષભ પંત 27 રને દાવમાં હતો.

2026-08-16 08:59:31

પશ્ચિમ બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકરનું મોત

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશીષ બેનર્જીની આજે સવારે લાશ મળી આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આજે સવારે બીરભૂલ જિલ્લાના રામપુરહાટ શહેરમાં આવેલા ટીએમસીની ઓફિસમાંથી તેમની લાશ મળી આવી છે. પોલીસને આ લાશ ફાંસી સાથે લટકેલી જોવા મળી હતી. પોલીસે લાશને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ પહોંચાડી હતી. પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા પર સતત સવાલો થઈ રહ્યાં છે.

2026-08-16 08:32:46

પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ નેતાની ગોળી મારી હત્યા

બંગાળમાં નાદિયા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહાસચિવ અનિસુર રહેમાનનું પણ કાર પર થયેલા હુમલામાં મોત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. હુમલાખોરોએ ગાડી પર ગોળીબાર કર્યો હતો અને તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના પુત્ર અબુ સુફિયાનનું પણ આ હુમલામાં મોત થયું છે.