Wed Jul 22 2026

Logo

સગીરા પર બળાત્કારના કેસમાં આધ્યાત્મિક ગુરુની ધરપકડ

2026-07-22 19:57:12
Author: Yogesh C. Patel
Article Image

અમરાવતી: મહિલા સગીર વયની હતી ત્યારથી તેનું કથિત જાતીય શોષણ કરવાના કેસના ફરાર આધ્યાત્મિક ગુરુ એવા આશ્રમના વડાની પોલીસે ધરપકડ કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે આનંદ મઠના વડા દત્તગિરિ ગુરુ જયરામજી મહારાજની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી.

તેની વિરુદ્ધ ચાંદુર રેલવે પોલીસ સ્ટેશનમાં રવિવારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2) (બળાત્કાર) અને 351(2) તેમ જ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આધ્યાત્મિક ગુરુને અમરાવતી કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને અદાલતી કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ આપ્યો હતો.

ફરિયાદમાં જણાવાયું હતું કે 2014માં એક કાર્યક્રમમાં સૌપ્રથમ વાર ફરિયાદી જયરામજી મહારાજને મળી હતી. પછી 2016થી તે મહારાજ સાથે રહેવા લાગી હતી. તે સમયે ફરિયાદી સગીર વયની હતી.
આ વર્ષો દરમિયાન આરોપીએ તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાનો આક્ષેપ ફરિયાદીએ કર્યો હતો. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)