Sun Apr 19 2026

Logo

રજિસ્ટર્ડ હાઉસિંગ સોસાયટીના પરિસરમાં દારૂની દુકાનો ચલાવવા માટે મંજૂરી જરૂરી: અજિત પવાર

2025-12-10 19:59:06
Author: Vipul Vaidya
Article Image

નાગપુર: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે બુધવારે જણાવ્યું હતું કે ભારતીય બનાવટના વિદેશી દારૂ (આઈએમએલએફ) તેમજ દેશી દારૂ વેચતી દુકાનોએ હાઉસિંગ સોસાયટીના પરિસરમાં વ્યાપારી જગ્યાઓમાંથી કામકાજ શરૂ કરતા પહેલા રજિસ્ટર્ડ હાઉસિંગ સોસાયટીઓની ફરજિયાત સંમતિ લેવી જરૂરી રહેશે.એક્સાઇઝ વિભાગના વડા અજિત પવારે રાજ્યભરમાં આ નવી નીતિ લાગુ કરવાનો નિર્દેશ આપ્યો હતો. 

‘રજિસ્ટર્ડ હાઉસિંગ સોસાયટીઓની પરવાનગી હવે બંને શ્રેણીની દારૂની દુકાનો માટે ફરજિયાત રહેશે. આ નીતિ સમગ્ર મહારાષ્ટ્રમાં સમાન રીતે લાગુ થવી જોઈએ,’ એમ પુણે જિલ્લાના ચિંચવડ વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરનારા ભાજપના વિધાનસભ્ય શંકર જગતાપ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલનો જવાબ આપતા અજિત પવારે વિધાનસભામાં જણાવ્યું હતું.
જગતાપે પુણેના ચિંચવડ-કાલેવાડી વિસ્તારમાં કાર્યરત દારૂની દુકાનોના લાઇસન્સ રદ કરવાની માગણી કરી હતી.

ચર્ચા દરમિયાન, તેમણે કહ્યું હતું કે સહ્યાદ્રી સોસાયટીમાં દારૂની દુકાન વિક્રાંત વાઇને ધોરણોનું ઉલ્લંઘન કરીને કામગીરી શરૂ કરી છે.જગતાપે કહ્યું કે જ્યારે પરવાનગી આપવામાં આવી ત્યારે ઇમારત અધૂરી હતી અને અધૂરા દસ્તાવેજોના આધારે લાઇસન્સ આપવામાં આવ્યું હતું.આનો જવાબ આપતા, પવારે દારૂના આઉટલેટ્સ માટે સંબંધિત હાઉસિંગ સોસાયટીની સંમતિની ફરજિયાત જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો અને જે બે દુકાનો સામે ફરિયાદો મળી હતી તે અંગે લેવામાં આવેલી કાર્યવાહી વિશે ગૃહને માહિતી આપી.

આ વર્ષે માર્ચમાં યોજાયેલી રાજ્ય વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન, પવારે જાહેરાત કરી હતી કે જો દારૂના આઉટલેટ્સ તેમના પરિસરમાં સ્થળાંતર કરવા માંગતા હોય તો હાઉસિંગ સોસાયટીઓ પાસેથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) ફરજિયાત રહેશે.ઘણી હાઉસિંગ સોસાયટીઓમાં વાણિજ્યિક સંસ્થાઓ હોય છે, જેમાં કેટલીક પાસે તો દારૂના આઉટલેટ્સ પણ હોય છે.