Tue Jun 23 2026

Logo

સુરતમાં લવ મેરેજ કરનારા કપલે હોટલમાં ઝેરી દવા પી લીધી, કોનું થયું મોત ને કોણ બચી ગયું ?

2026-06-23 09:40:00
Author: Mumbai Samachar
Article Image

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક પાસે એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સીમાડા સિલ્વર બિઝનેસ હબમાં આવેલી લા મરીના હોટેલના એક રૂમમાં એક દંપતીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. રૂમમાં બંનેએ સેલ્ફોસ નામની ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી ગઇ હતી. રૂમની અંદર બંનેએ સામૂહિક રીતે આ આત્મઘાતી પગલું ભરતા હોટેલ સ્ટાફ અને મેનેજમેન્ટમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક સ્થાનિક પ્રશાસનને જાણ કરવામાં આવી હતી.

હોટેલના બંધ રૂમમાં ઝેરી દવા પી લેવાને કારણે દંપતી પૈકી પત્નીની તબિયત ગણતરીની મિનિટોમાં જ ગંભીર રૂપે લથડી ગઈ હતી અને સારવાર મળે તે પહેલાં જ તેનું કરૂણ મોત નીપજ્યું હતું. બીજી તરફ, પતિની હાલત પણ અત્યંત નાજુક અને ચિંતાજનક હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ હોટેલ સંચાલકોએ 108 ઇમરજન્સી સેવા મારફતે પતિને તાત્કાલિક અસરથી નજીકની એક ખાનગી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. હાલમાં આ યુવક હોસ્પિટલના આઈસીયુ (ICU) વોર્ડમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અને તબીબો તેની જિંદગી બચાવવા માટે સખત જહેમત ઉઠાવી રહ્યા છે.

આ ભયાનક ઘટના અંગેની પ્રાથમિક માહિતી મળતાની સાથે જ સરથાણા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે તાબડતોબ પહોંચી ગયો હતો. પોલીસે સિલ્વર બિઝનેસ હબ સ્થિત લા મરીના હોટેલના તે ચોક્કસ રૂમને પોતાના કબજામાં લઈ લીધો હતો અને ક્રાઈમ સીન સીલ કરીને પ્રાથમિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ કેસમાં ટેકનિકલ અને સાયન્ટિફિક પુરાવાઓ એકત્રિત કરવા માટે એફએસએલ (FSL) ની મદદ પણ લેવામાં આવી છે. એફએસએલના અધિકારીઓએ રૂમની બારીકાઈથી તપાસ કરીને ઝેરી દવાની બોટલો, ગ્લાસ અને અન્ય શંકાસ્પદ નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે એકત્રિત કરવાની તજવીજ શરૂ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીની ઓળખ સુરતના યોગીચોક ખાતે રહેતી 23 વર્ષીય માનસી હસમુખભાઇ ઉમરેટિયા તરીકે થઇ છે જ્યારે યુવકની ઓળખ નાના વરાછામાં રહેતા 23 વર્ષીય અભય રામજીભાઈ ત્રાડા તરીકે થઇ છે. બંને એકબીજાના પ્રેમમાં હતા અને અગાઉ કોર્ટ મેરેજ કરી લીધા હતા. શરુઆતમાં બન્ને પરિવારજનોએ આનાકાની કરી હતી. જો કે બાદમા પરિવાર માની ગયો હતો અને સગાઇ પણ કરાવી દીધી હતી. તેમજ દિવાળી બાદ બન્નેના સામાજીક રિવાજ મુજબ લગ્ન પણ થવાના હતા જો કે બન્નેના લગ્ન થાય તે પહેલા જ આ પગલું ભરી દીધું હતું.