નવી દિલ્હીઃ બિહારમાં હવે સત્તા કોને સોંપવામાં આવશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નીતિશ કુમારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લઈ લીધા છે. હવે ટૂંક સમયમાં તેઓ મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપી શકે તેમ છે. તેવામાં બિહારમાં નવી સરકાર અંગે મંત્રમાઓ અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે નવા મુખ્ય પ્રધાન પદે ભાજપનો ચહેરો હોઈ શકે છે. જો કે, હજી સુધી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
દિલ્હીમાં ભાજપ નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન
સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે દિલ્હીમાં ભાજપ નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવી શકે છે. જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ હાજરી આપી શકે છે. પરંતુ કંઈક કારણોસર આ બેઠકને સ્થગિત કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજા રાજ્યોની જેમ બિહારમાં પણ પાર્ટી નવા નેતૃત્વની તૈચારી કરવાનો નિર્ણય લઈ શકે છે. જો આવું કરવામાં આવે તો, પાર્ટીએ ઈબીસી અને એસસી સમુદાયમાંથી કોઈ નેતાને આ પદ આપવું પડશે તેવું નિષ્માતો માની રહ્યાં છે.
નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરી આ રેસમાં સૌથી આગળ
પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વર્તમાન નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરી આ રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. કુશવાહા સમુદાયના હોવાથી સમ્રાટ ચૌધરીએ તેમના કાર્યકાળ દરમિયાન નીતિશ કુમાર સાથે ગાઢ સંકલનમાં કામ કર્યું છે અને જાહેર મંચ પર વારંવાર પ્રશંસા મેળવી છે. આ સાથે જેડીયૂમાં નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારને સક્રિય રાજકીય ભૂમિકા સોંપવાની તૈયારી ચાલી રહી છે. નિશાંત કુમાર પણ પાર્ટી અને સરકાર બંનેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવું સૂત્રોનું કહેવું છે.
નીતિશ કુમારની વાત કરવામાં આવે તો, આગામી 13 એપ્રિલે તેઓ મુખ્ય પ્રધાન તરીકે તેમની અંતિમ કેબિનેટ બેઠક કરશે અને 14 એપ્રિલે તેમના પદ પરથી રાજીનામું આપશે. 14 એપ્રિલે જ NDA વિધાયક દળની ની બેઠક યોજાશે, જેમાં નવા નેતાની પસંદગી કરવામાં આવશે. 15 એપ્રિલે બિહારમાં નવી સરકાર શપથ ગ્રહક સમારોહ યોજાશે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.