Sat May 16 2026

Logo

AIના જમાનામાં પણ આ દેશમાં નથી કોઈ મેટરનિટી વોર્ડ, ગર્ભવતી મહિલાઓને ડિલિવરી માટે જવું પડે છે બીજા દેશમાં!

Vatican City   2026-05-16 15:30:59
Author: Darshana Visaria
Article Image

હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા અને હશો અને તમને પણ વિચાર તો ચોક્કસ થયો હશે કે આખરે આવું તે કઈ રીતે શક્ય છે? આ સિવાય આખરે આ દેશ કયો છે, આ પાછળનું કારણ શું છે, જો અહીંના લોકો બીમાર પડતાં હશે તો શું કરતાં હશે વગેરે વગેરે જેવા સેંકડો સવાલો પણ તમને સતાવી રહ્યા હશે. ચાલો આજે તમને તમારા આ તમામ સવાલોના જવાબ સ્ટોરીમાં આપી દઈએ...

સામાન્યપણે આપણા ઘરમાં જ્યારે પણ કોઈ બીમાર પડે ત્યારે આપણો સૌથી પહેલો વિચાર તેને વહેલી તકે હોસ્પિટલ પહોંચાડવાનો હોય છે. હોસ્પિટલ નજીક હોવી એ મેડિકલ ઈમરજન્સીમાં રાહત આપે છે. પરંતુ જરા વિચારો કે દુનિયામાં એક એવો પણ દેશ છે જ્યાં કોઈ હોસ્પિટલ જ નથી! એટલું જ નહીં, આ દેશમાં છેલ્લાં 97 વર્ષથી એક પણ બાળકનો જન્મ થયો નથી. આ અનોખો દેશ એટલે 'વેટિકન સિટી' (Vatican City).

આજના આધુનિક યુગમાં જ્યાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને સ્પેસ ટેકનોલોજીની વાતો થાય છે, ત્યાં વેટિકન સિટીમાં એક પણ હોસ્પિટલ કે મેટરનિટી વોર્ડ નથી. 11મી ફેબ્રુઆરી 1929ના રોજ અસ્તિત્વમાં આવેલો આ દેશ માત્ર 118 એકરના વિસ્તારમાં ફેલાયેલો છે અને તેની ગણતરી દુનિયાના સૌથી નાના દેશ તરીકે કરવામાં આવે છે. હવે સ્વાભાવિક છે અહીં કોઈ મેટરનિટી વોર્ડ ન હોવાને કારણે છેલ્લાં 97 વર્ષમાં અહીં ક્યારેય કોઈ બાળકની કિલકારી ગૂંજી નથી. જ્યારે પણ અહીં રહેતી કોઈ મહિલા ગર્ભવતી થાય અથવા કોઈ ગંભીર બીમારી આવે, ત્યારે તેમને સારવાર અને ડિલિવરી માટે ઈટલીની રાજધાની રોમ લઈ જવામાં આવે છે.

વેટિકન સિટી ચારેય બાજુથી રોમ શહેરની વચ્ચે ઘેરાયેલો દેશ છે. આ દેશની કુલ વસ્તી માત્ર 800થી 900 લોકોની આસપાસ છે, જેમાં મોટાભાગે પાદરીઓ (પોપ) અને સ્વિસ ગાર્ડ્સ રહે છે. વેટિકન સિટીમાં હોસ્પિટલ બનાવવા માટે ઘણી વખત વિનંતીઓ અને અરજીઓ કરવામાં આવી છે, પરંતુ ભૌગોલિક મર્યાદાઓ અને નાના કદના કારણે તે શક્ય બન્યું નથી.

આ દેશની બીજી એક ખાસિયત એ છે કે અહીં દુનિયાનું સૌથી નાનું રેલવે સ્ટેશન 'સિટ્ટા વેટિકનો' (Citta Vaticano) આવેલું છે. આ સ્ટેશન 1933માં પોપ પાયસ અગિયારમાના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યું હતું, જેમાં માત્ર બે ટ્રેક છે અને પ્રત્યેકની લંબાઈ 300 મીટર છે. વેટિકન સિટીને વિશ્વભરના કરોડો કેથલિક ખ્રિસ્તીઓ પોતાની ધાર્મિક આસ્થાનું કેન્દ્ર અને મૂળ માને છે.