નવી દિલ્હી: યુએસ અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કરીને પશ્ચિમ એશિયામાં યુદ્ધ છેડ્યું છે, આ હુમલામાં ઈરાનઅન સુપ્રીમ લીડર આયાતોલ્લાહ અલી ખામેનીની હત્યા કરવામાં આવી છે. યુએસ અને ઇઝરાયલના હુમલાની માઠી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી શકે છે. એવામાં ઈરાન અધિકારી એ જણાવ્યું છે કે ઈરાન સાથે નજીકના સંબંધો ધરાવતા ભારત અને ચીન જેવા દેશોના વધતા પ્રભુત્વને નુકશાન પહોંચાડવા યુએસએ યુદ્ધ શરુ કર્યું છે.
ઈરાનના સર્વોચ્ચ નેતાના કાર્યાલયના ભારતમાં ખાસ પ્રતિનિધિ અબ્દુલ મજીદ હકીમ ઇલાહીએ એક ન્યુઝ એજન્સી સાથેના ઈન્ટરવ્યું દરમિયાન જણાવ્યું કે યુએસ દુનિયામાં શક્તિશાળી દેશ તરીકેનું પોતાનું સ્થાન જાળવી રાખવા માટે વૈશ્વિક સંઘર્ષો ભડકાવી રહ્યું છે. ભારત અને ચીન મહાશક્તિ બનીને ઉભરી રહ્યા છે, ત્યારે બંને દેશોને નુકશાન પહોંચાડવાના ઈરાદે યુએસએ ઈરાન સાથે યુદ્ધ છેડ્યું છે, જેથી યુએસ પોતાનું વર્ચસ્વ જાળવી શકે છે.
ન્યુ એજન્સી સાથે વાત કરતા અબ્દુલ મજીદ હકીમ ઇલાહીએ કહ્યું કે ભવિષ્યમાં ભારત, ચીન, રશિયા અને યુએસ વિશ્વના સૌથી શક્તિશાળી દેશો હશે, જો કે યુએસ નથી ઇચ્છતું કે કોઈ તેની સાથે ઉભું રહે. યુએસ નથી ઇચ્છતું કે ભારત કે ચીનને મહાશક્તિ તરીકે ઉભરી આવે. પરિણામે, યુએસ આ આવા યુદ્ધો શરુ કરે છે.
યુદ્ધ યુએસ અને ઈઝરાયલે શરુ કર્યું:
તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે યુદ્ધની શરૂઆત યુએસ અને ઈઝરાયલે કરી હતી, ઈરાને નહીં. તેમણે કહ્યું, "તેઓ અમારા નાગરિકો પર બોમ્બમારો કરી રહ્યા છે, અમે માત્ર પોતાનો બચાવ કરી રહ્યા છીએ. તેઓ હુમલા અટકાવશે તો, અમે પણ હુમલા બંધ કરીશું."
અબ્દુલ મજીદ હકીમ ઇલાહીએ એમ પણ કહ્યું કે તેઓ યુએસ અને ઇઝરાયલ સાથેના યુદ્ધ ઉપરાંત 'ફેક ન્યૂઝ’ સામે પણ યુદ્ધ લડી રહ્યા છે. તેમણે કહ્યું, "એવા ખોટા સમચારો ફેલાવવામાં આવી રહ્યા છે કે ઈરાનના લોકો શાસન પરિવર્તન ઇચ્છે છે, આ ખોટું છે."