નવી દિલ્હી: ભારતીય રેલ્વેએ મુસાફરોને મોટો ઝટકો આપ્યો છે. આજે મંગળવારે ટિકિટ પોલિસીમાં સુધારાની જાહેરાત કરવામાં આવી. સુધારા મુજબ જો મુસાફરો ટ્રેનના સમય કરતા આઠ કલાક પહેલા તેમની ટિકિટ રદ કરશે તો કેન્સલ ટીકીટ સામે કોઈ રિફંડ આપવામાં નહીં આવે.
રેલ્વે ટિકિટિંગ સર્વિસમાં કરવામાં આવેલા સુધારા અંગે વાત કરતા કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે એજન્ટો અને દલાલો દ્વારા ટિકિટ રોકી રાખવાની પ્રવૃત્તિને અટકાવવા માટે આ પગલા લેવામાં આવી રહ્યા છે.
નવી રીફંડ પોલિસી
સુધારેલી ટિકિટ પોલિસી મુજબ જો મુસાફરીના સમયના 72 કલાકની પહેલા ટિકિટ રદ કરવામાં આવે તો મહત્તમ રિફંડ મળશે. જો ટિકિટ 72 થી 24 કલાકની વચ્ચે રદ કરવામાં આવે છે, તો કુલ ભાડાની 25% રકમ કાપવામાં આવશે. જો કે, જો 24 થી 8 કલાકની વચ્ચે ટીકીટ રદ કરવામાં આવશે તો 50% રકમ કાપવામાં આવશે.
ટિકિટિંગ સિસ્ટમ આ સુધારા કરવામાં આવ્યા:
1. તત્કાલ બુકિંગ માટે આધાર-બેઝ્ડ OTP લાગુ કરવામાં આવ્યો છે.
2. તત્કાલ ટિકિટ બુકિંગની પ્રથમ 30 મિનિટ માટે એજન્ટો પર પ્રતિબંધિત મુકવામાં આવ્યો.
3. બિન-પ્રમાણિક (નકલી) યુઝર્સને દૂર કરવા માટે એન્ટિ-બોટ સિસ્ટમ લાગુ કરવામાં આવી
4. પ્રસ્થાનના 30 મિનિટ પહેલા સુધી કાઉન્ટર ટિકિટ પર ટ્રાવેલનો ક્લાસ અપગ્રેડ કરાવી શકાશે.
કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે 30 મિલિયન શંકાસ્પદ ID પહેલાથી જ નિષ્ક્રિય કરવામાં આવ્યા છે.