Thu Jun 18 2026

Logo

આસામમાં સુખોઈ-30 ક્રેશ થતા વાયુ સેનાના બે પાયલટોએ જીવ ગુમાવ્યો

2026-03-06 12:20:00
Author: Savan Zalariya
Article Image

ગુવાહાટી: ગઈ કાલે આસામના જોરહાટ એરબેઝ પરથી ટેક ઓફ કર્યાની થોડી મોનીટો બાદ ભારતીય વાયુસેનાના Su-30MKI ફાઇટર જેટ સાથે સંપર્ક તૂટી ગયો હતો.આ ફાઈટર જેટ આસામના કાર્બી આંગલોંગ જિલ્લા ક્રેશ થતાં વાયુ સેનાના બે પાઇલટ શહીદ થયા છે. 

ભારતીય વાયુ સેનાએ સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઇટ લેફ્ટનન્ટ પૂર્વેશ દુરાગકર શહીદ થયા હોવાની પુષ્ટિ કરી છે. ભારતીય વાયુસેનાએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું, "IAFનું S-30 દુર્ઘટનાગ્રસ્ત થતાં ઇજા પામેલા સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઈટ લેફ્ટનન્ટ પૂર્વેશ દુરાગકરનું મૃત્યુ નીપજ્યું છે. IAFના તમામ કર્મચારીઓ આ દુઃખના સમયમાં શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે." 

ગુરુવારે સાંજે સુખોઈ-૩૦ MKI એ તાલીમ મિશન હેઠળ જોરહાટ એરબેઝ પરથી ટેક ઓફ કર્યું હતું, થોડી મિનિટો બાદ સાંજે 7.42 વાગ્યે ગ્રાઉન્ડ કંટ્રોલ સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યાર બાદ સર્ચ એન્ડ રેસ્ક્યુ  ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

સ્થાનિકોએ વિસ્ફોટ સાંભળ્યો:
સર્ચ ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું કે ફાઈટર જેટ જોરહાટથી લગભગ 60 કિલોમીટર દૂર કાર્બી આંગલોંગ જિલ્લામાં ક્રેશ થયું હતું. સ્થાનિકો એ જણાવ્યું કે તેમને પહાડી વિસ્તારમાં એક જોરદાર વિસ્ફોટ સંભળાયો હતો, ક્રેશ સાઈટના કેટલાક ફોટોગ્રાફ્સ પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતાં.

ટૂ સીટર મલ્ટીરોલ લોંગ રેંજ ફાઇટર જેટ Su-30MKI, રશિયાની સુખોઈ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ ભારતીય વાયુ સેના માટે આ ફાઈટર જેટ બનાવ્યા હતાં. ભારતીય વાયુસેના પાસે 260 થી વધુ Su-30MKI છે. 

છેલ્લે જૂન 2024માં મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં અને જાન્યુઆરી 2023માં મધ્ય પ્રદેશના ગ્વાલિયર જીલ્લામાં Su-30MKI ક્રેશ થયા હતાં.