Tue Jul 07 2026

Logo

ઍરપોર્ટ પર એસ્કેલેટર બગડી જતાં ભારતીય ખેલાડીઓએ...

2025-12-05 18:32:40
Author: Ajay Motiwala
Article Image

રાયપુર/વિશાખાપટનમઃ રોહિત શર્મા, વિરાટ કોહલી, હેડ-કોચ ગૌતમ ગંભીર અને ટીમના અન્ય ખેલાડીઓ તથા કોચિંગ સ્ટાફનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં દેખાય છે કે દરેક જણે ઍરપોર્ટ (Airport) પરના એસ્કેલેટર (escalator) પર પોતાનો સામાન લઈને ચઢવું પડ્યું હતું.

30મી નવેમ્બરની પ્રથમ વન-ડે ભારતે જીતી હતી, જ્યારે બુધવારે છત્તીસગઢ રાજ્યમાં રાયપુરની બીજી મૅચમાં સાઉથ આફ્રિકાનો વિજય થયો હતો એટલે સિરીઝ 1-1ની બરાબરીમાં થઈ જતાં હવે શનિવાર, છઠ્ઠી ડિસેમ્બરની ત્રીજી મૅચ નિર્ણાયક બની છે અને ખેલાડીઓ રાયપુરથી વિશાખાપટનમ પહોંચી ગયા છે. જોકે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં ટીમ ઇન્ડિયા (Team India) સાથે સંકળાયેલી ખેલાડીઓ સહિતની વ્યક્તિઓએ એસ્કેલેટર પર પોતે પોતાનો સામાન ચઢાવીને લઈ જવો પડ્યો એ ઘટના બદલ ઍરપોર્ટ મૅનેજમેન્ટની મજાક ઉડાવવામાં આવી રહી છે.

 

વાઇરલ ઘટના રાયપુર ઍરપોર્ટની હોવાનું મનાય છે. ત્યાં એસ્કેલેટર બગડી ગયું હોવાથી દરેક જણે પોતાનો સામાન ઊંચકીને ઍસ્કેલેટરના પગથિયાં ચઢવા પડ્યા હતા. સામાન્ય રીતે એસ્કેલેટર પર સામાન લઈને ચઢવું ખૂબ મુશ્કેલ થઈ જતું હોય છે જેનું એક કારણ એ છે કે જેમ સ્ટેશનના બ્રિજ પર હોય એવો કોઈ બે્રક એસ્કેલેટરની સીડી પર નથી હોતો. બીજું, એસ્કેલેટરની સીડી થોડી વર્ટિકલ હોય છે.

એક યુઝરે રાયપુર ઍરપોર્ટના સોશ્યલ મીડિયા પેજને ટૅગ કરીને લખ્યું છે, ` આ રાયપુર ઍરપોર્ટનું એસ્કેલેટર છે જે બગડી ગયું છે અને એને કારણે ભારતીય ખેલાડીઓએ સામાન સાથે ચઢવું પડ્યું છે. આ ઍરપોર્ટ ખૂબ મોટું અને આધુનિક છે છતાં અહીંનું એસ્કેલેટર રિપેર નથી કરવામાં આવ્યું. ભારતીય ટીમના ખેલાડીઓ આવવાના છે એની અગાઉથી જાણ હોવા છતાં એસ્કેલેટરના સમારકામ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવ્યું છે. ઍરપોર્ટવાળાઓએ આટલી ગંભીર સમસ્યા કેમ થવા દીધી એ જ નથી સમજાતું.'