સુરત: શહેરમાં વરસાદી માહોલને અનુસંધાને જાહેર કરાયેલા રેડ એલર્ટને ધ્યાને લઇ મ્યુ. કમિશનર એમ.નાગરાજને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થાનિક કક્ષાએથી વરસાદી પરિસ્થિતિનું સતત મોનીટરીંગ કરાઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે SMC દ્વારા લેવાઈ રહેલા પગલાં અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, શહેરના લો લાઈન વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરવાનું કાર્ય સતત ચાલી રહ્યું છે. વિદ્યાથીઓ, નાગરિકો, કામદારોની સુરક્ષાને ધ્યાને લેતા શાળા-કોલેજોની સાથે ડાયમંડ યુનિટો, ફેક્ટરીઓ કાપડ માર્કેટમાં પણ રજા જાહેર કરાઈ અને કોલેજોની સાથે માર્કેટ એસોસિયેશન દ્વારા પણ રજા જાહેર કરાઈ છે.
શહેરની ભાગોળમાં આવેલા કીમ અને આગળના વિસ્તારોમાં તેમજ નદીનાં ઉપલા ભાગમાં આવેલા જેવા કે વેલંજા, કઠોર, ગોથાણ જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદને પગલે પાણી ભરાવાની શક્યતા હોઈ નાગરિકોને એલર્ટ રહેવા અપીલ કરાઈ હતી. સાંજે પણ તીવ્ર પવનની સાથે ભારે વરસાદ આવવાની આગાહીને પગલે શહેરીજનોને ઘરે સુરક્ષિત રહેવા અને માલસામાનના સંભવિત નુકસાનને ટાળવા તેને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સર્તક રહી જાનહાની અટકાવવા અપીલ કરી હતી.
શહેરમાં NDRF તેમજ SDRFની ટીમો સજ્જ હોવાની સાથે જ જિલ્લા કલેકટર દ્વારા સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર પાસે આર્મીની એક ટીમની પણ માંગણી કરાઈ હોવાનું જણાવી નાગરિકોને સહકાર આપવા અને સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ સવારે 6 થી બપોરના 12 કલાક દરમિયાન સુરતના ઉમરપાડામાં 8 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વસોમાં 6.38 ઇંચ, બોરસદમાં 6.26 ઇંચ, નડીયાદમાં 5.94 ઇંચ, ખંભાતમાં 5.79 ઇંચ, સાગબારામાં 5.67 ઇંચ, ગરુડેશ્વરમાં 5.67 ઇંચ, આણંદમાં 5.59 ઇંચ, પેટલાદમાં 5.59 ઇંચ, તિલકવાડામાં 4.65 ઇંચ વરસાદ વરસ્યો છે.