નવી દિલ્હી: જાન્યુઆરી મહિનામાં કોલકતામાં ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (I-PAC) ના કો-ફાઉન્ડર પ્રતીક જૈનના ઘર અને ઓફીસ EDના દરોડામાં વિઘ્ન પાડવા બદલ સુપ્રીમ કોર્ટે બુધવારે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે મમતા બેનર્જીન પગલાને "લોકશાહીને જોખમમાં મૂકવા"નું કૃત્ય ગણાવ્યું.
નોંધનીય છે કે આવતી કાલે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે, તેના એક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણીઓ કરી છે. સુપ્રીમ કોર્ટે મમતા બેનર્જીને કહ્યું કે કોઈપણ રાજ્યના મુખ્ય પ્રધાન તપાસ દરમિયાન પરિસરમાં ઘૂસી શકે નહીં.
સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો:
સુપ્રીમ કોર્ટે કહ્યું, “આ, એક વ્યક્તિ દ્વારા પોતાની રીતે કરવામાં આવેલ કાર્યવાહી છે, તેઓ મુખ્ય પ્રધાન છે. લોકશાહીને જોખમમાં મૂકવા માટે સમગ્ર વ્યવસ્થાનો ઉપયોગ કર્યો હતો."
સુપ્રીમ કોર્ટે કહ્યું, "આ રાજ્ય અને સંઘ વચ્ચેનો વિવાદ નથી. કોઈપણ રાજ્યના મુખ્ય પ્રધાન તપાસની વચ્ચે જઈને લોકશાહીને જોખમમાં મૂકી ન શકે."
શું છે મામલો?
I-PAC તૃણમૂલ સાથે કામ કરતી રાજકીય સલાહકાર પેઢી છે. મની લોન્ડરિંગના આરોપો તપાસ માટે EDએ જાન્યુઆરીમાં પ્રતિક જૈનના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતાં. તપાસ ચાલી રહી હતી, ત્યારે મમતા બેનર્જી રાજ્યના અધિકારીઓ સાથે પ્રતિક જૈનના નિવાસસ્થાને પહોંચ્યા હતાં અને કેન્દ્ર સરકાર સામે નારેબાજી કરી હતી. મમતાએ દાવો કર્યો હતો કે આ દરોડા રાજકીય રીતે પ્રેરિત હતા અને ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસને નબળી પાડવાના હેતુથી કરવામાં આવ્યા હતા.
EDએ આરોપ લગાવ્યો છે કે મમતા બેનર્જીએ સ્થળ પરથી મુખ્ય પુરાવા દૂર કર્યા હતા.