નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે શું તાલીમ દરમિયાન થયેલી ઇજાઓ અથવા દિવ્યાંગના કારણે અયોગ્ય બની ગયેલા લશ્કરી કેડેટ્સને ભૂતપૂર્વ સૈનિકોનો દરજ્જો આપી શકાય છે જેથી તેઓ સરકારી અને અર્ધ-સરકારી નોકરીઓમાં અનામતનો લાભ મેળવી શકે.
જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાંની બેન્ચે જણાવ્યું હતું કે મોટાભાગના લશ્કરી કેડેટ્સ 30 વર્ષથી ઓછી ઉંમરના છે અને તેમને રોજગારની જરૂર હશે. બેન્ચે કહ્યું હતું કે , "સુનાવણી દરમિયાન આ મુદ્દો ઉભો થયો કે શું તાલીમ દરમિયાન તબીબી કારણોસર સેવામાંથી છૂટા કરાયેલા કેડેટ્સને ભૂતપૂર્વ સૈનિકો અથવા ભૂતપૂર્વ સૈન્ય કર્મીઓ તરીકે પણ ગણી શકાય, જેથી તેઓ વિવિધ સરકારી અને અર્ધ-સરકારી નોકરીઓ અને પોસ્ટ્સમાં અનામતનો લાભ મેળવી શકે."
કોર્ટે કહ્યું હતું કે "એડિશનલ સોલિસિટર જનરલે આ પાસા પર નિર્દેશ પ્રાપ્ત કરે જેથી આ કેડેટ્સને પણ ભૂતપૂર્વ સૈનિકોના દાયરામાં સમાવી શકાય, કારણ કે તેમાંના મોટા ભાગના ૨૦-૩૦ વર્ષની વય જૂથમાં છે." ભારત સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એન. વેંકટરમને જણાવ્યું હતું કે આ મુદ્દા પર વ્યાપક જવાબ આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટ આ મામલાની સુઓમોટુ સુનાવણી કરી રહી છે, જે તાલીમ દરમિયાન ઈજા કે દિવ્યાંગતાના કારણે છૂટા કરવામાં આવેલા કેડેટ્સ દ્વારા સામનો કરવામાં આવતી મુશ્કેલીઓ સાથે સંબંધિત છે.
ગયા વર્ષે 18 ઓગસ્ટના રોજ કોર્ટે કહ્યું હતું કે સંરક્ષણ દળો પાસે "હિંમતવાન કેડેટ્સ" હોવા જોઈએ જેઓ તાલીમ દરમિયાન થયેલી ઈજાઓ કે દિવ્યાંગતાથી નિરાશ ન થાય. કોર્ટે કેન્દ્ર સરકારને આવા કેસો માટે વીમા કવર પૂરું પાડવાની શક્યતા શોધવાનો પણ નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે તાલીમ દરમિયાન દિવ્યાંગતાના કારણે લશ્કરી સંસ્થાઓમાંથી તબીબી કારણોસર છૂટા કરાયેલા કેડેટ્સ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ પર કેન્દ્ર સરકાર અને સંરક્ષણ દળો પાસેથી જવાબો માંગ્યા હતા.
કોર્ટે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે મૃત્યુ અથવા દિવ્યાંગતાનો સામનો કરવા માટે વિવિધ લશ્કરી સંસ્થાઓમાં સખત તાલીમ લઈ રહેલા આ કેડેટ્સ માટે જૂથ વીમા જેવી વીમા યોજના લાગુ કરવાની શક્યતા શોધવી જોઈએ. તેમણે કોર્ટને તેમની તબીબી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વર્તમાન એકમ રકમ (તાલીમ દરમિયાન દિવ્યાંગ બનેલા કેડેટ્સને આપવામાં આવતી 40,000) વધારવાનું પણ વિચારણા કરવા જણાવ્યું હતું.
ગયા વર્ષે 12 ઓગસ્ટના રોજ કોર્ટે રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી (એનડીએ) અને ભારતીય લશ્કરી એકેડેમી (આઈએમએ) જેવી દેશની અગ્રણી લશ્કરી સંસ્થાઓમાં તાલીમ લીધેલા આ કેડેટ્સની દુર્દશાને ઉજાગર કરતા એક સમાચાર અહેવાલની સ્વતઃ નોંધ લીધી હતી.
અહેવાલ મુજબ 1985થી તાલીમ દરમિયાન વિવિધ ડિગ્રીની દિવ્યાંગના કારણે આશરે 500 ઓફિસર કેડેટ્સને આ સંસ્થાઓમાંથી તબીબી કારણોસર બહાર કરી દેવાયા હતા. તેઓ હવે વધતા તબીબી ખર્ચનો સામનો કરી રહ્યા છે, જ્યારે તેમને મળતો માસિક એક્સ-ગ્રેશિયા તેમની જરૂરિયાતો કરતાં ઘણો ઓછો છે.