Sat May 09 2026

Logo

રશિયા-યુક્રેન વચ્ચે 3 દિવસ સુધી યુદ્ધ નહીં થાય, ટ્રમ્પે કહ્યું- મારા કહેવાથી થયું સીઝ ફાયર

2026-05-09 10:08:00
Author: Mumbai Samachat Team
Article Image

રશિયા અને યુક્રેનમાં સીઝફાયર થઇ ગયું છે. સીઝ ફાયરની જાહેરાત યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે. જોકે, આ યુદ્ધવિરામ માત્ર ત્રણ દિવસ માટે જ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રૂથ સોશિયલ' પર પોસ્ટ કરીને લખ્યું કે, "મને જણાવતા આનંદ થાય છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ત્રણ દિવસ માટે (9, 10 અને 11 મે) યુદ્ધવિરામ રહેશે. રશિયામાં આ ઉજવણી 'વિક્ટ્રી ડે' (વિજય દિવસ) માટે છે, પરંતુ યુક્રેનમાં પણ આવું જ છે, કારણ કે તેઓ પણ બીજા વિશ્વયુદ્ધનો એક મોટો હિસ્સો અને મહત્વનું પાસું હતા."
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, " આ સીઝફાયરમાં બધી કાઇનેટિક એક્ટિવિટીને સસ્પેન્ડ કરવી અને બન્ને દેશના 1,000 કેદીઓની અદલા-બદલી પણ સામેલ હશે. આ રિકવેસ્ટ મેં કરી હતી અને હું વ્લાદિમીર પુતિન અને પ્રેસિડેન્ટ જેલેંસ્કીનો આના માટે આભાર માનું છું. આશા છે કે આ એક ઘણી લાંબી, ખતરનાક અને મુશ્કેલીથી લડાયેલા યુદ્ધના અંતની શરુઆત છે. વર્લ્ડ વોર 2 પછી સૌથી મોટા કોન્ફ્લિક્ટને સમાપ્ત કરવા માટે વાતચીત ચાલુ છે અને અમે સંઘર્ષ પૂર્ણ કરવાની નજીક જઇ રહ્યા છીએ."

જેલેન્સ્કીએ પણ આપ્યું સમર્થન
યૂક્રેનના પ્રેસિડેન્ટ વ્લોદિમિર જેલેન્સ્કીએ શુક્રવારે કન્ફર્મ કર્યું કે ચાર વર્ષથી વધુ જુના યુદ્ધને સમાપ્ત કરવા માટે અમેરિકા વાતચીત કરવાની કોશિશ કરી રહ્યું છે. અને યુએસના આ પ્રયત્નો હેઠળ રશિયા સાથે 3 દિવસનો સીઝફાયર નક્કી કરવામાં આવ્યો છે. 
જેલેન્સ્કીએ સોશિયલ મીડિયામાં એમ પણ કહ્યું કે બન્ને પક્ષ 1,000 યુદ્ધ કેદીઓની અદલા-બદલી કરશે. જેલેન્સ્કીએ લખ્યું, "આજે અમેરિકાની મધ્યસ્થતા સાથે થઇ રહેલી વાતચીત હેઠળ અમારે 1000ના બદલે 1,000ના ફોર્મેટમાં યુદ્ધ કેદીઓની અદલા-બદલી કરવા માટે રશિયાની સહમતિ મળી છે."

હકીકતમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે રશિયા અને યુક્રેન વચ્ચે 3 દિવસના યુદ્ધવિરામ પર સહમતિ બની છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે 9 મેથી 11 મે સુધી રશિયા અને યૂક્રેન વચ્ચેચ સીઝફાયર રહેશે. આ સમયગાળામાં બન્ને દેશો વચ્ચે કોઇપણ સૈન્ય કાર્યવાહી નહીં થાય અને હથિયારોથી હુમલો પણ નહીં કરવામાં આવે.

ફેબ્રુઆરી 2022થી ચાલી રહ્યું છે યુદ્ધ
રશિયા અને યૂક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022થી યુદ્ધ ચાલી રહ્યું છે. આ સંઘર્ષમાં હજારો લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે લાખો લોકોએ પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા છે ત્યારે 3 દિવસનો યુદ્ધવિરામ અને કેદીઓની અદલાબદલી એક મહત્વની ઘટના માનવામાં આવી રહી છે.