Sun Apr 12 2026

Logo

રાજપાલ યાદવની મુશ્કેલીમાં વધારો? 18 માર્ચે દિલ્હી કોર્ટમાં થશે મહત્વની સુનાવણી...

2026-03-09 21:06:20
Author: Tejas Soni
Article Image

PTI


નવી દિલ્હી: હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા રાજપાલ યાદવ અત્યારે કાયદાકીય ગૂંચવણોનો સામનો કરી રહ્યા છે. દિલ્હીની અદાલતમાં તેમની સામે ચાલી રહેલા કેસમાં હવે નિર્ણાયક વળાંક આવવાની શક્યતા છે. અગાઉની સુનાવણીઓમાં મળેલી થોડી રાહત બાદ, હવે સૌની નજર 18 માર્ચ પર ટકેલી છે. આ દિવસે કોર્ટ આ વિવાદમાં આગળની દિશા નક્કી કરી શકે છે, જે રાજપાલ યાદવના ભવિષ્ય માટે અત્યંત મહત્વની સાબિત થશે.

આગામી 18 માર્ચના રોજ થનારી સુનાવણીમાં રાજપાલ યાદવ વ્યક્તિગત રીતે અથવા વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે રાજપાલ યાદવ પોતે કોર્ટમાં હાજર રહે તેવી પ્રબળ શક્યતા છે. તેમના વકીલ ભાસ્કર ઉપાધ્યાય કોર્ટમાં પક્ષ રજૂ કરશે અને કેસને મેરિટના આધારે સુનાવણી કરવાની અપીલ કરવામાં આવશે. આ અગાઉ કોર્ટે પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી અને રકમ જમા કરાવાઈ હોવાથી તેમને વચગાળાના જામીન મંજૂર કર્યા હતા.

રાજપાલ યાદવે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આ આખા વિવાદ અંગે પોતાની સ્પષ્ટતા આપી હતી. તેમણે દાવો કર્યો હતો કે જે રકમની વાત કરવામાં આવી રહી છે તે કોઈ દેવું નહોતું, પરંતુ ફિલ્મમાં કરવામાં આવેલું ઇન્વેસ્ટમેન્ટ (રોકાણ) હતું. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કેવી રીતે 5 કરોડની રકમ સમય જતાં વધીને અંદાજે 9 કરોડ સુધી પહોંચી ગઈ. રાજપાલ યાદવે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે પોતાની બાજુની સંપૂર્ણ વિગતો લોકો સમક્ષ મૂકી હતી.

શું છે સમગ્ર વિવાદ?
આ કેસ આર્થિક લેણદેણ સાથે જોડાયેલો છે, જેમાં કરોડો રૂપિયાની રકમનો વિવાદ ચાલી રહ્યો છે. અગાઉ કોર્ટમાં અંદાજે 1.75 કરોડ રૂપિયા જમા કરાવ્યા બાદ રાજપાલ યાદવને વચગાળાની રાહત આપવામાં આવી હતી. 18 માર્ચની તારીખ એટલા માટે પણ મહત્વની છે કારણ કે તે દિવસે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ નક્કી કરશે કે આગળની કાયદાકીય પ્રક્રિયા કઈ રીતે ચાલશે. હાલમાં તો રાજપાલ યાદવ માટે આ કેસમાંથી બહાર નીકળવું એક મોટો પડકાર બની રહ્યો છે.