કોલકાતા : ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મિડલ ઇસ્ટમાં સતત વધી રહેલા સંઘર્ષ અંગે ચિંતા વ્યકત કરી છે. તેમણે કહ્યું કે હાલાત અત્યંત ગંભીર છે. તેમજ તે કઈ દિશામાં જશે તેનું અનુમાન લગાવવું મુશ્કેલ છે. તેમણે ચિંતા વ્યકત કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈપણ અવરોધ વૈશ્વિક અર્થતંત્ર, ક્રુડ ઓઈલ અને ગેસ સપ્લાય ચેઇનને નુકસાન પહોંચાડી શકે છે.
વૈશ્વિક વ્યવસ્થાઓ અને માન્યતાઓ તૂટી રહી છે
કોલકાતામાં એક કાર્યક્રમ દરમિયાન, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે
સંઘર્ષની વર્તમાન પરિસ્થિતિ ખૂબ જ જટિલ છે. જે રીતે ઘણા દેશો એકબીજા પર હુમલો કરી રહ્યા છે તે ખરેખર દરેક માટે ચિંતાનો વિષય છે.
તેમણે કહ્યું કે આજે જૂના વિચારો બદલાઈ રહ્યા છે, જૂની વૈશ્વિક વ્યવસ્થા અને જૂની માન્યતાઓ ઝડપથી બદલાઈ રહી છે. આપણે આ અનિશ્ચિતતાઓને સમજવી જોઈએ. તેમણે કહ્યું કે પહેલા સમુદ્રને ફક્ત વેપારનું સાધન માનવામાં આવતું હતું, પરંતુ આજે તે વ્યૂહાત્મક પ્રભુત્વનું કેન્દ્ર બની ગયું છે. વૈશ્વિક સ્તરે પરિવર્તન આવી રહ્યું છે અને વૈશ્વિક વ્યવસ્થાઓ અને માન્યતાઓ તૂટી રહી છે.
અનિશ્ચિતતાઓને સમજવાની જરૂર
રાજનાથ સિંહે કહ્યું કે આપણે આ અનિશ્ચિતતાઓને સમજવાની જરૂર છે. તેમણે કોલકાતામાં મેરીટાઈમ સમિટ "સાગર સંકલ્પ" ને સંબોધન કરતી વખતે આ સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ઈરાનમાં મૃતકની સંખ્યા વધી 1,332 થઈ
ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીથી શરુ થયેલી જંગનો આજે સાતમો દિવસ છે. જેમાં સૌથી વધુ તબાહી ઈરાનમાં થઈ છે. ઈઝરાયલ-અમેરિકાના સંયુક્ત યુદ્ધમાં ઈરાનના સુપ્રીમો આયાતુલ્લાહ અલી ખામેનેઇની હત્યા સાથે કુલ મૃતકની સંખ્યા વધીને 1,332 થઈ છે.