Fri Jun 19 2026

Logo

"પ્રજાના પૈસા, પ્રજાનો બ્રિજ... હવે ખુલ્લો મુકો પ્લીઝ" સાંઢિયા પુલનું જાતે જ લોકાર્પણ કરવા ગયેલા AAP કાર્યકરોની અટકાયત

2026-05-23 15:36:00
Author: Devayat Khatana
Article Image

રાજકોટ: શહેરમાંથી જામનગર તરફ જવા માટે રેલવે લાઈન પર હયાત સાંઢિયા પુલ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા  રૂ. 74.32 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા માટે બનતો રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. જો કે હાલ તેની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે પરંતુ હાલ તેનું લોકાર્પણ ટૂંક સમયમાં કરવામાં આવનારું હોવાથી હાલ લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી.

પુલની કામગીરી પૂર્ણ થઇ ગઈ હોવા છતાં તંત્ર દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો ન હોવાથી આ મુદ્દે આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો. સાંઢીયા પુલને ખુલ્લો મુકવાની માંગ સાથે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા જો તંત્ર સમયસર ખુલ્લો નહિ મુકે તો પાર્ટી દ્વારા ખુલ્લો મૂકવાની ચીમકી ઉચ્ચારી હતી. આ ચીમકી પૂર્ણ થતાં 'આપ'ના અંદાજે 15 જેટલા કાર્યકરો પુલ તરફ પહોંચ્યા હતા.

મળતી વિગતો અનુસાર, 'આપ'ના કાર્યકરો બ્રિજ ખુલ્લો મુકવાની માંગ સાથે હાથમાં ગદા અને જય શ્રી રામના નારા, તેમજ "પ્રજાના પૈસા પ્રજાનો બ્રિજ હવે ખુલ્લો મુકો પ્લીઝ" ના નારા અને પોસ્ટર લઈને સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સ્ટાફને મોટી સંખ્યામાં તૈનાત કરી દેવામાં આવ્યો હતો. 

બ્રિજનું લોકાપર્ણ કરવા માટે સ્થળ પર પહોંચેલા તમામ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. પોલીસ દ્વારા કાર્યકરોને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘટનાને લઈને થોડા સમય માટે તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. સાંઢીયા પુલ મુદ્દે સ્થાનિક લોકો અને રાજકીય વર્તુળોમાં ચર્ચા ગરમાઈ છે. એક તરફ સરકાર  પેટ્રોલ અને ડીઝલ બચાવવાની અને સરકારી ખર્ચ ઓછો કરવાની પહેલ કરી રહ્યા છે તે સમયે ઈંધણ બચાવી આપે તેવા નવા બનેલા બ્રિજને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં નથી આવી રહ્યો તેવી પણ ચર્ચા થઈ રહી છે.