ગોર : અયોધ્યાના રામ મંદિર દાન ચોરી બાદ દેશના અન્ય રાજયોના મંદિરોમાં દાન ચોરીના આક્ષેપ થઇ રહ્યા છે. જેમાં હવે રાજસ્થાનના નાગોર જિલ્લામાં આવેલું 500 વર્ષ જૂના બુટાટી ધામમાં 22 કરોડથી વધુ દાન ચોરીનો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
ડોનેશનમાં કથિત ગેરરીતિની ફરિયાદ
આ અંગે મળતી માહિતી મુજબ રાજસ્થાનના નાગૌર જિલ્લામાં આવેલા પ્રખ્યાત બુટાટી ધામ જે સંત ચતુરદાસ મહારાજના નામે પણ પ્રખ્યાત છે. તેમાં શ્રદ્ધાળુ પાસેથી મળેલી દાનની રકમ અને ડોનેશનમાં કથિત ગેરરીતિની ફરિયાદ પ્રકાશમાં આવી છે.
જિલ્લા વહીવટીતંત્રનો તપાસ અહેવાલ
આ અંગે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રજૂ કરાયેલા તપાસ અહેવાલમાં નાણાકીય અનિયમિતતાઓ, ખોટા ખર્ચ, સોના અને ચાંદીના રેકોર્ડમાં વિસંગતતાઓ અને દાન ભંડોળના દુરુપયોગ સહિતના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે.
તપાસમાં નાણાકીય અનિયમિતતાઓ પ્રકાશમાં આવી
જ્યારે બીજી તરફ મંદિર વિકાસ સમિતિના અધ્યક્ષ દેવેન્દ્ર સિંહે આ આરોપોને રાજકીય ષડયંત્ર અને એકતરફી તપાસ ગણાવી છે. જ્યારે જિલ્લા કલેક્ટર દેવેન્દ્ર કુમાર યાદવ જણાવે છે કે તપાસમાં નાણાકીય અનિયમિતતાઓ પ્રકાશમાં આવી છે.
13 સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે, નાગોર જિલ્લાના બુટાટીમાં સંત શ્રી ચતુરદાસજી મહારાજ મંદિર વિકાસ સમિતિ વિરુદ્ધ નાણાકીય ગેરરીતિઓના આરોપો બાદ તત્કાલીન જિલ્લા કલેક્ટર અરુણ કુમાર પુરોહિતના આદેશથી 13 સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી.આ સમિતિએ 146 દિવસની તપાસ બાદ 23 જૂન, 2026 ના રોજ જિલ્લા વહીવટીતંત્રને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો.