નવી દિલ્હી: રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટી (BJP) ની તાકાત વધે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં 24 જુલાઈના રોજ યોજાનાર રાજ્યસભાની ત્રણ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવે છે, કારણ કે રાજ્ય વિધાનસભામાં પક્ષ પાસે પૂરતું સંખ્યાબળ છે. આ ત્રણેય બેઠકો તૃણમૂલ કોંગ્રેસના તે ત્રણ પૂર્વ સાંસદોના રાજીનામા બાદ ખાલી પડી હતી, જેઓ બાદમાં ભાજપમાં જોડાયા હતા. આ વિજય સાથે ભાજપ રાજ્યસભામાં સાધારણ બહુમતીના આંકડાથી માત્ર 6 બેઠક દૂર રહી જશે.
વર્ષ 1986 બાદ પ્રથમ વખત આવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યારે કોઈ એક પક્ષ બહુમતીની આટલી નજીક પહોંચ્યો હોય. છેલ્લે 1986માં રાજીવ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાસે રાજ્યસભામાં જરૂરી બહુમતી હતી. જોકે ભાજપ પાસે હજુ પોતાના દમ પર બહુમતી નથી, પરંતુ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ની કુલ 152 બેઠકો સાથે તે અત્યંત મજબૂત સ્થિતિમાં છે.
આગામી સંસદના ચોમાસુ સત્રને લઈને રાજકીય ગલિયારાઓમાં ભારે હલચલ જોવા મળી રહી છે, ખાસ કરીને સીમાંકન અને મહિલા અનામત બિલ જેવા મહત્વના બંધારણીય સુધારાઓને લઈને અટકળો તેજ બની છે. બંધારણીય સુધારા માટે સંસદમાં બે-તૃતીયાંશ બહુમતીની જરૂર હોય છે, જે માટે 166 સાંસદોના સમર્થનની આવશ્યકતા છે. હાલમાં NDA આ આંકડાથી પાછળ છે, પરંતુ સરકારી વ્યૂહરચનાના ભાગરૂપે ગણિત ગોઠવવામાં આવી રહ્યું છે.
આ મહત્વપૂર્ણ ખરડાઓને પસાર કરાવવા માટે સરકાર કેટલાક પ્રાદેશિક પક્ષોના સમર્થન અથવા તેમની ગેરહાજરીની અપેક્ષા રાખી રહી છે. જેમાં ડીએમકે, વાયએસઆર કોંગ્રેસ, બીજુ જનતા દળ અને એનસીપી (એસપી) ના કેટલાક સાંસદો ઉપરાંત અપક્ષ સાંસદ પરિમલ નાથવાનીનું સમર્થન NDA માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. આ રાજકીય સમીકરણો દ્વારા સરકાર બંધારણીય સુધારાના પડકારને પાર પાડવા માટે પ્રયત્નશીલ છે.