Sat Apr 25 2026

Logo

પશ્ચિમ બંગાળમાં રાહુલ ગાંધીના આકરા પ્રહાર, કહ્યું હું પીએમ મોદી થી નથી ડરતો

2026-04-25 22:10:49
Author: Chandrakant Kanoja
Article Image

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાના મતદાન પૂર્વે રાજકારણ ગરમાયું છે. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે ત્રણ રેલીઓ સંબોધિત કરી હતી. જેમાં તેમણે પીએમ મોદી અને મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે મારી પર 36 કેસ કરવામાં આવ્યા છે. પરંતુ હું પીએમ મોદીથી ડરતો નથી. 

કોંગ્રેસ પાર્ટી જ ભાજપને હરાવી શકે છે

રાહુલ ગાંધીએ શનિવારે પશ્ચિમ બંગાળમાં શ્રીરામપુર, કોલકાતા અને મેટિયાબ્રુઝમાં ત્રણ મોટી રેલીઓને સંબોધિત કરી હતી. મેટિયાબ્રુઝમાં એક રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી સમગ્ર દેશમાં લોકશાહી પર હુમલો કરી રહ્યા છે. તેઓ સમગ્ર દેશમાં મત ચોરી રહ્યા છે. તેઓ ભાજપ અને આરએસએસ વિરુદ્ધ ઉભા રહેલા કોઈપણ વ્યક્તિ પર હુમલો કરે છે.

ભાજપ અને આરએસએસની વિચારધારા સામે લડું છું

હું દરેક રાજ્યમાં 24 કલાક ભાજપ અને આરએસએસની વિચારધારા સામે લડું છું, અને તેઓ સતત મારા પર હુમલો કરે છે. મારી સામે 36 કેસ દાખલ છે. હું વડા પ્રધાન મોદીથી ડરતો નથી. ફક્ત કોંગ્રેસ પાર્ટી જ ભાજપને હરાવી શકે છે કારણ કે કોંગ્રેસ વિચારધારાનો પક્ષ છે અને અમે ભાજપ સાથે કોઈ સમાધાન કરી શકતા નથી.

મમતા બેનર્જીના રાજમાં  બેરોજગારી બેકાબૂ 

આ ઉપરાંત રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પણ ગંભીર આરોપો લગાવ્યા હતા.  તેમણે કહ્યું, મમતા બેનર્જીના રાજમાં  બેરોજગારી બેકાબૂ છે.  તેમણે ગત ચૂંટણીમાં બેરોજગારી નાબૂદ કરવાનું વચન આપ્યું હતું. તેમણે 500,000 યુવાનોને નોકરી આપવાનું વચન આપ્યું હતું. આજે, બંગાળમાં 84 લાખ બેરોજગાર યુવાનો છે જેમણે બેરોજગારી ભથ્થા માટે અરજી કરી છે.

મમતા બેનર્જી શારદા અને ચિટ-ફંડ કૌભાંડોમાં સંડોવાયેલા

 મુખ્યમંત્રી મમતા બેનર્જી શારદા અને ચિટ-ફંડ કૌભાંડોમાં સંડોવાયેલા છે. સત્તાની લાલસાથી પ્રેરિત, ભાજપ અને ટીએમસી બંનેએ પશ્ચિમ બંગાળના લોકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટાચાર અને ગુંડાગીરીનું જાળું ફેલાયેલું છે.જનતા પીડાઈ રહી છે અને  સરકાર ફક્ત તમાશો જોતી રહી છે.