ભેળસેળિયાઓ પર ત્રાટક્યું એફડીએ: એનાલોગ પનીરના વેચાણ પર રોક લાગતા અસલી અને શુદ્ધ પનીરની માંગમાં વધારો
મુંબઈ: દૂધ અને ડેરી ઉત્પાદનમાં ભેળસેળ સામે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગના કમિશનર તુકારામ મુંઢે દ્વારા લેવાયેલા કડક પગલાં અને ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવાના કારણે રાજ્યમાં શુદ્ધ પનીરની માંગમાં 20થી 25 ટકાનો વધારો થયો છે, એમ દૂધ ઉત્પાદક અને પ્રોસેસિંગ પ્રોફેશનલ્સ વેલફેર એસોસિએશનના સચિવ પ્રકાશ કુતવળએ જણાવ્યું હતું.
તુકારામ મુંઢે કમિશનર બન્યા પછી રાજ્યભરમાં ભેળસેળિયાઓ સામે કાર્યવાહી ચાલુ છે. સતત દરોડાઓ દ્વારા ભેળસેળિયાઓ અને વધારાના નફા માટે ભેળસેળિયા ડેરી ઉત્પાદનો વેચનારાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે.
કાર્યવાહી પછી ભેળસેળવાળા પનીર, પેંડા, માવો, ચીઝ વગેરેનો નાશ કરવામાં આવી રહ્યો હોવાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પરિણામે સામાન્ય લોકો વિચાર કરતા થયા છે કે તેઓ જે ખોરાક ખાઈ રહ્યા છે તે ભેળસેળવાળો તો નથી ને.
હોટેલ માલિકો વધુ નફો મેળવવાની લાલચમાં ભેળસેળયુક્ત અથવા હલકી ગુણવત્તાવાળા પનીરનો ઉપયોગ કરતા હતા. હવે, હોટલોમાં આપવામાં આવતું પનીર એનાલોગ પનીર છે કે નહીં તે દર્શાવવા માટે બોર્ડ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
એનાલોગ દૂધમાંથી બનેલું અસલી પનીર નથી, પરંતુ વનસ્પતિ ચરબી/તેલ, સ્ટાર્ચ અને પાવડરનો ઉપયોગ કરીને બનાવેલો સસ્તો અને કૃત્રિમ વિકલ્પ છે. અસલી પનીર અને એનાલોગ પનીર વચ્ચે આરોગ્ય અને ગુણવત્તાની દ્રષ્ટિએ મોટો તફાવત છે.
દૂધમાંથી બનેલા શુદ્ધ, મલાઈ પનીરના ઉત્પાદનનો ખર્ચ વધારે હોય છે અને બ્રાન્ડના આધારે બજારમાં પ્રતિ કિલો 350થી 400 રૂપિયાના ભાવે વેચાય છે. બીજી તરફ, પામ તેલ, દૂધ પાવડર અથવા સ્ટાર્ચનો ઉપયોગ કરીને બનાવેલા કૃત્રિમ, ભેળસેળયુક્ત પનીરના ઉત્પાદનનો ખર્ચ સરેરાશ 160 રૂપિયા પ્રતિ કિલો છે.
ભેળસેળયુક્ત પનીર બજારમાં 180થી 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે. હોટેલ માલિકો વધુ નફો મેળવવા નબળી ગુણવત્તાવાળા પનીરનો ઉપયોગ કરે છે. જોકે, મુંઢેની કડક કાર્યવાહીના પગલે શુદ્ધ પનીરની માંગમાં વધારો થયો છે.