Wed Apr 22 2026

Logo

પાકિસ્તાને યુદ્ધવિરામનો કર્યો ભંગઃ અફઘાનિસ્તાનમાં ઈદ પૂર્વે કુનાર પ્રાંતમાં બોમ્બમારો

Karachi   2026-03-19 18:33:13
Author: Mumbai Samachar Team
Article Image

કરાચીઃ એકબાજુ મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે એવામાં પાકિસ્તાન હવે અફઘાનિસ્તાન સામે મેદાને પડ્યું છે, જે યુદ્ધમાં પરિણમશે તો એશિયામાં નવા સંકટનું નિર્માણ થશે. ઈરાન અને પાકિસ્તાન જાણે લડી લેવાના મૂડમાં હોય એવા અણસાર છે. પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લઘન કર્યાનો ગંભીર આરોપ મૂક્યો છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં ગોળીબાર કર્યો હતો એવા આરોપ છે. ઈદના માહોલ વચ્ચે અસ્થાયી રૂપે સીઝફાયરનું એલાન થયું હતું, પણ પાકિસ્તાન સેનાએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. 

કોઈ જાનહાનિ નહીં

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સામે તણાવગ્રસ્ત માહોલ વધી રહ્યો છે. અફઘાનિસ્તાન તરફથી આરોપ મૂકવામાં આવ્યો છે કે, પાકિસ્તાનને સીઝફાયરનું ઉલ્લઘન કર્યું છે. કુનાર પ્રાંતમાં 72 ગોળીઓ મારી છે, બન્ને દેશ લડાઈ રોકવા માટે સહમત થયા હતા એ પછી આ ઘટના બની હોવાની વિગત મળી છે. કુનાર સૂચના વિભાગના પ્રમુખ જિયા ઉર રહેમાનના જણાવ્યા અનુસાર 35 ગોળીઓ નરાઈ જિલ્લાના ડોકલામમાં, બારિકોટ અને સોંલગાઈ વિસ્તારમાં ફાયર થઈ હતી. 37 ગોળી મનોગાઈના જુદા જુદા વિસ્તારમાં ફાયર થઈ હતી. નરાઈ જિલ્લામાં હજું પણ ગોળીબાર ચાલુ છે. જોકે આ ઘટનામાં હજુ સુધી કોઈ મોટી જાનહાનિના સમાચાર મળ્યા નથી.

નાગરિકોને નિશાન બનાવે છે

અફઘાનિસ્તાન તરફથી સામે આવેલા નિવેદનમાં એ વાત સ્પષ્ટ થઈ હતી કે, પાકિસ્તાનની સેના નાગરિકોને નિશાન બનાવી રહી છે, જે પોતાના ઘર બાજું આવી રહ્યા છે. બન્ને દેશ વચ્ચે તણાવગ્રસ્ત માહોલ એ સમયે જોવા મળ્યો જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ઈદનો માહોલ છે. ઈદના કારણે સીઝફાયર જાહેર કરાયું હતું. પાકિસ્તાનના સૂચના મંત્રી અતાઉલ્લાહ તારારે જણાવ્યું હતું કે આ યુદ્ઘવિરામ 18મી અને 19મી માર્ચના રોજ અડધી રાતથી 23 અને 24મીની અડધી રાત સુધીનું છે. હવે જો અફઘાનિસ્તાન તરફથી કોઈ હુમલો થશે તો સૈન્ય ઑપરેશન તાત્કાલિક શરૂ કરી દેવામાં આવશે. 

અફઘાનિસ્તાનનું નિવેદન

અફઘાન સરકારના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે એલાન કરતા કહ્યું હતું કે અફઘાનિસ્તાનના સૈનિકો ઈદના અવસર પર સુરક્ષાલક્ષી ઑપરેશન પણ નહીં કરે. પણ જો કોઈ જોખમ ઊભું થશે તો જવાબ દેવામાં આવશે. દક્ષિણ વજિરિસ્તાનમાં સૈન્ય કાર્યવાહી અંતર્ગત અનેક એવા તાલિબાની ઠેકાણાનો નાશ કરી દેવાયો છે એવું પાકિસ્તાન તરફથી સ્પષ્ટ થયું છે. પાકિસ્તાને ઑપરેશન ગજબ લિલ હક ચાલું કર્યું હતું, 26 ફેબ્રુઆરીથી આ શરૂ થયું હતું. પાકિસ્તાનનો એવો દાવો છે કે અત્યાર સુધીમાં કુલ 700થી વધુ અફઘાન તાલિબાનના મોત થયા છે. 

તાલિબાનની પીછેહટ

પાકિસ્તાને દાવો કર્યો છે કે, તાલિબાનીઓએ પીછહેટ કરી છે. આ દરમિયાન સામાન્ય નાગરિકોને કોઈ મુશ્કેલી પડી નથી. પાકિસ્તાની સૈન્ય પ્રવક્તા જનરલ અહમદ શરીફ ચૌધરીએ કહ્યું હતું કે, જે જગ્યાને ટાર્ગેટ કરવામાં આવી છે એ હથિયારોનો ગોદામ હતો, ત્યાં મોટી સંખ્યામાં ડ્રોન રાખવામાં આવ્યા હતા. તાલિબાનના સૈન્યના જવાનો સામાન્ય માણસ જેવા કપડાં પહેરે છે પછી તે હુમલાઓ કરે છે.