Thu Jun 18 2026

Logo

નીતીશ કુમારે બિહારનું CM પદ છોડવાની પુષ્ટિ કરી! જાણો શું કારણ આપ્યું

2026-03-05 12:07:00
Author: Savan Zalariya
Article Image

પટના: આ મહીને રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે, એ પહેલા બિહારમાં રાજકારણમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. ગઈ કાલે શરુ થયેલી અટકળો બાદ જનતા દળ યુનાઇટેડ(JDU)ના વડા નીતિશ કુમારે પોતે જાહેરાત કરી છે કે તેઓ બિહારના મુખ્ય પ્રધાનનું પદ છોડી રહ્યા છે અને રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે. બિહારના નવા મુખ્ય પ્રધાન કોણ બનશે એ અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરી નથી.

X પર પોસ્ટ કરીને નીતિશ કુમારે જણાવ્યું કે તેઓ પહેલા લોકસભા સાંસદ, વિધાનસભ્ય અને વિધાનપરિસદના સભ્ય રહી ચુક્યા છે, હવે તેઓ રાજ્યસભા સભાના સભ્ય બનવા ઈચ્છે છે.  

બિહારની જનતાની સંદેશ:
નીતિશ કુમારે બિહારની જનતાને સંબોધીને લખ્યું "તમે છેલ્લા બે દાયકાથી મારા પર વિશ્વાસ કર્યો અને મને ટેકો આપ્યો છે. મેં પુરા સમર્પણ સાથે તમારી સેવા કરી છે, તમારા વિશ્વાસ અને સમર્થનને કારણે જ બિહાર વિકાસમાં નવા સ્તર સ્થાપિત કરી રહ્યું છે." 

નીતિશ કુમારે લખ્યું, "રાજકીય કારકિર્દીની શરૂઆતથી મારી ઈચ્છા હતી કે હું રાજ્ય વિધાનસભાના બંને ગૃહો અને સંસદના બંને ગૃહોનો સભ્ય બનું. આથી હું આગામી ચૂંટણીમાં રાજ્યસભાનો અભય બનવા ઈચ્છું છું. હું તમને વિશ્વાસ આપું છું કે તમારી (બિહારની જનતા) સાથે મારો સંબંધ પહેલા જેવો જ રહેશે અને હું વિકસિત બિહાર માટે કામ કરતો રહીશ. નવી સરકારને મારું સંપૂર્ણ સમર્થન રહેશે અને તેમને માર્ગદર્શન આપતો રહીશ."

બિહારની પાંચ રાજ્યસભા બેઠકો માટે 16 માર્ચે મતદાન થવાનું છે. જેડી(યુ)ના હરિવંશ નારાયણ સિંહ અને રામનાથ ઠાકુર, આરજેડીના પ્રેમચંદ ગુપ્તા અને અમરેન્દ્ર ધારી સિંહ અને આરએલએમના ઉપેન્દ્ર કુશવાહાના કાર્યકાળના પૂરો થવાનો છે.