Sun Aug 30 2026

Logo

આકાશમાંથી વરસશે અંગારા! ૨૫ મેથી કેમ ધગધગશે 'નૌતપા'? જો આ 9 દિવસ ગરમી ન પડી તો ખેડૂતો પર તૂટી પડશે આભ...

2026-05-23 18:16:28
Author: Darshana Visaria
આકાશમાંથી વરસશે અંગારા! ૨૫ મેથી કેમ ધગધગશે 'નૌતપા'? જો આ 9 દિવસ ગરમી ન પડી તો ખેડૂતો પર તૂટી પડશે આભ...

મે અને જૂન મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે ઉત્તર ભારતથી લઈને દિલ્હી-એનસીઆર સહિત દેશના વિવિધ વિસ્તારોમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. આ ગરમ પવનો કે જેને આપણે હીટ વેવ કહીએ છીએ એની વચ્ચે હવે દેશભરમાં 'નૌતપા' (Nautapa 2026)ની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વર્ષના સૌથી ગરમ ગણાતા આ 9 દિવસો આગામી 25મી મેથી શરૂ થઈને ત્રીજી જૂન સુધી ચાલવાના છે. પરંતુ જો આ નૌતપા ના હોય તો દેશ અને પર્યાવરણ પર તેની શું અસર જોવા મળશે... 

પરંપરાગત માન્યતાઓ અનુસાર, નૌતપા દરમિયાન પડતી પ્રચંડ ગરમીનો સીધો સંબંધ દેશના ચોમાસા (Monsoon) અને ખેતી સાથે જોડાયેલો છે. જો આ 9 દિવસોમાં આકાશમાંથી આગ ન વરસે, તો ગ્રામીણ વિસ્તારોમાં તેને અશુભ સંકેત માનવામાં આવે છે. આ વખતે આ નૌતપા 25મી મેથી શરૂ થઈ રહ્યા છે અને ત્રીજી જૂન સુધી રહેશે. 

શું છે આ 'નૌતપા'? 

જ્યોતિષીય ગણતરી મુજબ, જ્યારે સૂર્યદેવ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે તે સમયગાળાને 'નૌતપા' કહેવામાં આવે છે. આ દરમિયાન સૂર્યના કિરણો પૃથ્વી પર બિલકુલ સીધા પડે છે, જેના કારણે તાપમાન 42 ડિગ્રીથી લઈને 48 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. હવામાન વિભાગે પણ આ 9 દિવસો દરમિયાન દેશના ઘણા રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

નૌતપાની ગરમી ખેડૂતો માટે કેમ છે વરદાન?

ગ્રામીણ ભારતમાં એક જૂની કહેવત છે કે નૌતપામાં જેટલી તપન, તેટલી બરખા સુખદ. આ પાછળ વૈજ્ઞાનિક અને પરંપરાગત બંને કારણો છે. જ્યારે જમીન અતિશય ગરમ થાય છે, ત્યારે લો-પ્રેશર (હવાનું હળવું દબાણ) ઊભું થાય છે. આના કારણે સમુદ્ર પરથી આવતા ભેજવાળા માનસિક વાદળો ખૂબ જ ઝડપથી જમીન તરફ ખેંચાઈ આવે છે, જે આગળ જતાં બમ્પર વરસાદ લાવે છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ વાત કરીએ તો પડી રહેલાં આ કાળઝાળ ગરમી ખેતરો માટે એક રીતે તો ફાયદાકારક જ છે. ઊંચા તાપમાનને કારણે ખેતરોની માટીમાં છુપાયેલા હાનિકારક બેક્ટેરિયા, વાયરસ અને પાકને નુકસાન કરતા ઝેરી કીટ-પતંગો કુદરતી રીતે જ નાશ પામે છે અને પાકને નુકસાન થતું અટકે છે. 

જો નૌતપા ન તપે તો શું ખરેખર મુશ્કેલી સર્જાશે?

એક જૂની લોકવાયકા એવી છે કે જો નૌતપાના 9 દિવસો દરમિયાન વાવાઝોડું કે વરસાદ આવે અને હવામાન ઠંડું થઈ જાય, તો ખેતીમાં મોટી સમસ્યાઓ સર્જાઈ શકે છે. જો શરૂઆતના દિવસોમાં ભારે લૂ ન લાગે તો ખેતરોમાં ઉંદરો, તીડના ઈંડા અને પાકને બરબાદ કરનારા કીડાઓની સંખ્યા અસાધારણ રીતે વધી જાય છે, જે પાછળથી આખી પાકને નુકસાન પહોંચાડે છે. જોકે, આધુનિક હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જના આ યુગમાં માત્ર નૌતપાના આધારે જ ચોમાસાની સચોટ આગાહી કરવી વૈજ્ઞાનિક રીતે સંપૂર્ણ સાચી નથી.