તહેરાન/વોશિંગ્ટન/નવી દિલ્હીઃ ઈઝરાયલ-અમેરિકાએ ઈરાન પર હુમલો કરતા સમગ્ર મિડલ ઈસ્ટમાં સ્થિતિ તણાવગ્રસ્ત છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધના અઠવાડિયા પછી પણ માહોલ ભારેલા અગ્નિ જેવો છે. યુદ્ધના માહોલમાં 4 માર્ચે એક નવો વળાંક આવ્યો હતો, અમેરિકી સબમરીને હિન્દ મહાસાગરમાં ઈરાનના યુદ્ધ જહાંજ પર ટોર્પિડોથી હુમલો કરી ખાતમો કરી દીધો. આ ઘટના બાદ સંઘર્ષની આગ દક્ષિણ એશિયા સુધી પહોચી. આ ઘટનાનું પરિણામ એ આવ્યું કે, અખાતી દેશમાં સ્થિતિ નાજુક બની તથા ક્રૂડ ઓઈલની ક્રાઈસિસનું જોખમ તોળાતું રહ્યું.
ભારતને કેટલી અને શું અસર?
યુદ્ધના કારણે ભારતની કોઈ સીધી અસર તો પહોંચી નથી, પરંતુ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. યુદ્ધના કારણે સામસામે હુમલા થતા રહ્યા તેમ જ ઈરાનના પાડોશી રાષ્ટ્રને પણ મોટું નુકસાન થયું. ઈરાને ચોખવટ કરી કે અમરિકાના સૈન્ય ઠેકાણા અખાતી દેશમાં પણ છે, જેને અમે ટાર્ગેટ કર્યા હતા. આનું પરિણામ એ આવ્યું કે, તેલ રિફાઈનરી, ગેસ ઉત્પાદન તથા સમુદ્રમાં આવ-જા કરતા જહાંજ હોર્મુઝ ક્રિક નજીક અટવાયા, કેટલાક ટેન્કરનો ખાતમો બોલી ગયો તો ગેસ ઉત્પાદનમાં પણ બ્રેક લાગી ગઈ. આ ઘટનાની બીજી અસર એ થઈ કે, સમગ્ર યુરોપથી લઈને ભારત સુધી ઊર્જા સંકટ ઊભું થયું.
ભારતને નોટિસ
કતાર અને સાઉદી અરેબિયા જેવા દેશે એવો દાવો કર્યો કે, યુદ્ધના કારણે ક્રૂડ તથા નેચરલ ગેસના ભંડારની સપ્લાય ખોરવાઈ છે. વ્યવસ્થા તૂટી રહી છે. ક્રૂડના સ્ટોક અને કેટલાક ગોદામ પર હુમલો થવાને કારણે માગને પહોંચવું શક્ય નથી. આ માહોલમાં ભારતને પણ ફોર્સ મેચ્યોર નોટિસ મળી, જે અંતર્ગત ભારત પાસેથી ગેસ ખરીદવાની સમજૂતીને અસ્થાયી રૂપે રોકવાની વાત કરવામાં આવી.
થોડા સમય માટે હોર્મુઝ ક્રિક બંધ થતા જહાંજના પરિવહનોમાં બ્રેક લાગી. જેની અસર એ ઊભી થઈ કે ક્રૂડ ઓઈલ અને અન્ય ફ્યૂલથી ભરેલા ટેન્કર જળમાર્ગમાં જ અટવાયા. ભારતમાં આવતો ક્રૂડ ઓઈલનો જથ્થો પણ આ મુદ્દાથી પ્રભાવિત થયો અને ફ્યુઅલ કટોકટી ઊભી થાય એવા એંધાણ વર્તાયા.
50 ટકા ક્રૂડની આયાત
ભારત પોતાની જરૂરિયાતના 50 ટકા ક્રુડ ઓઈલ આયાત કરે છે, જે ઈરાનના રસ્તેથી ભારત આવે છે. હોર્મુઝ રૂટ બંધ થવાને કારણે ભારતને નિયમિતપણ મળતો સ્ટોક બંધ થયો. 50 ટકા સ્ટોક અટવાતા ભારતીય તેલ કંપનીઓએ ચોખવટ કરવી પડે એવી નોબત આવી. પરિવહન, ઉડ્ડયન, ઓટો અને સિરામિક ઉદ્યોગમાં જરૂરી સામાન તથા ગેસનો સ્ટોક અટક્યો.
મોંઘા ભાવે અન્ય ગેસ ખરીદવાની ફરજ પડી જેથી ઔદ્યોગિક ઉત્પાદન મોંઘું થયું. પશ્ચિમ એશિયાના દેશમાં અભ્યાસ કે નોકરી હેતુ ગયેલા ભારતીયોને વતનની યાદ આવી. પ્રવાસ હેતુ ગયેલા પ્રવાસીઓએ પણ ભારત પરત આવવા દોટ મૂકી. મિડલ ઈસ્ટમાં 97 લાખ ભારતીયોનો વસવાટ હોવાનું માનવામાં આવે છે. યુદ્ધના કારણે ત્યાં વસતા ભારતીયો પર મોટું જોખમ ઊભું થયું. ભારતમાંથી ઑપરેટ થતી એરલાઈન્સ કંપનીઓએ રૂટ બદલાવવા પડ્યા. પરિણામ એ આવ્યું કે, લાંબો રૂટ પસંદ કરાતા ફ્યૂલ અને પહોંચવા માટેનો સમય બન્ને વધ્યા.
કોમોડિટીને અસર
સિમેન્ટ ઉત્પાદન માટે કાચોમાલ, ચુનાના પથ્થર, જીપ્સમ જેવી વસ્તુઓના નિર્માણ માટે કાચો માલ પશ્ચિમ એશિયામાંથી આવે છે. કેટલીક કાચી સામગ્રી જેને સીધી જ ઉપયોગમાં લઈ શકાય એ તમામ તથા કેટલીક ધાતુઓની નિયમિતતા ઘટી ગઈ. આ માહોલ લાંબા સમય સુધી યથાવત રહ્યો તો સિમેન્ટની કિંમતમાં વધારો થશે. જેની સીધી અસર ભારતમાં ચાલી રહેલી બાંધકામ સાઈટ પર થશે.
બીજી તરફ સ્ટિલ ઉદ્યોગમાં જરૂરી સામગ્રી પણ પશ્ચિમ એશિયાથી આવે છે. રત્ન અને આભૂષણની માર્કેટમાં પણ આની અસર જોવા મળી છે. સુરતમાં આની સ્પષ્ટ અસર દેખાઈ રહી છે. પોલિશિંગ અને કટિંગ ડાયમંડનો ઉપયોગ પશ્ચિમ એશિયાના દેશમાં સૌથી વધારે થાય છે.