Sun Mar 08 2026

Logo

73 શાળાને લઘુમતી દરજ્જાનો વિવાદઃ લઘુમતી વિકાસ વિભાગે સ્પષ્ટીકરણ આપ્યું

1 week ago
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના આકસ્મિક અવસાન પછી માત્ર ત્રણ દિવસમાં 75 જેટલી શાળાઓને લઘુમતીનો દરજ્જો આપવા બાબત વિવાદ ઊભો થયો હતો. તે પ્રક્રિયામાં મોટા નાણાકીય વ્યવહારોની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે આ કેસમાં એક મોટી અપડેટ સામે આવી છે. લઘુમતી વિકાસ વિભાગે મુખ્ય સચિવને પત્ર લખીને આ મામલે સ્પષ્ટતા રજૂ કરી છે.

વિભાગનો દાવો છે કે 73 શાળાઓની મંજૂરી અજિત પવારના મૃત્યુ પહેલા આપવામાં આવી હતી. જોકે, વિભાગનો દાવો છે કે 'મહાઆઈટી' પોર્ટલ પર ટેકનિકલ ખામીને કારણે ડિજિટલ હસ્તાક્ષર પ્રક્રિયા અટકી ગઈ હતી, જેના કારણે આ પ્રમાણપત્રો મોડા અપલોડ કરવામાં આવ્યા હતા.

18 ફેબ્રુઆરીએ વિવાદ સામે આવ્યા બાદ આ સ્પષ્ટતા મોકલવામાં આવી છે. 20 સોસાયટીઓ અને ટ્રસ્ટના પ્રમાણપત્રો 29 જાન્યુઆરી (અજિત પવારના નિધનના બીજા દિવસે), 30 જાન્યુઆરી, 2 ફેબ્રુઆરી અને 4 ફેબ્રુઆરીએ અપલોડ કરવામાં આવ્યા હતા. 

તેમાંથી ઓછામાં ઓછા 19 લોકોની સુનાવણી અને મંજૂરી પ્રક્રિયા 24 ડિસેમ્બર, 2025 અને 27 જાન્યુઆરી, 2026ની વચ્ચે પૂર્ણ થઈ હતી. તે સમયે, અજિત પવાર જીવિત હતા અને લઘુમતી વિકાસ વિભાગનો હવાલો સાંભળતા હતા. આ 20 સંસ્થાઓ હેઠળ રાજ્યમાં કુલ 73 શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવામાં આવે છે.

મહારાષ્ટ્રના લઘુમતી વિકાસ વિભાગે મુખ્ય સચિવને પત્ર લખીને આપેલા સ્પષ્ટીકરણ મુજબ ટેકનિકલ સમસ્યાને કારણે ડિજિટલી સહીવાળા પ્રમાણપત્રો બનાવવામાં વિલંબ થયો હતો. વિભાગે રિપોર્ટના 'મનસ્વી પ્રક્રિયા'ના દાવાઓને નકારી કાઢ્યા છે.

28 જાન્યુઆરીએ સત્તાવાર રજાની જાહેરાતને કારણે તમામ સત્તાવાર કામકાજ સ્થગિત કરવામાં આવ્યા હતા. તે દિવસે કોઈ નવી સુનાવણી યોજાઈ નહોતી, કોઈ નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા નહોતા અને સક્ષમ અધિકારી દ્વારા કોઈ ફાઇલો પર ડિજિટલી સહી કરવામાં આવી નહોતી, એમ વિભાગે સ્પષ્ટ કર્યું છે.