મુંબઈઃ ક્યારેક વાસ્તવિકતા કોઈ ફિલ્મી કાલ્પનિકતા કરતા વધુ રોમાંચક હોઈ શકે છે, જે આપણને વિચારતા કરી દે કે આવું બની શકે ખરું? પણ, મહારાષ્ટ્રમાં એક એવું 'ગોલ્ડન વિલેજ' છે જેના વિશે જાણીને તમે આશ્ચર્યચકિત થઇ જશો.
આ વાત છે કોલ્હાપુર જિલ્લાના કરવીર તાલુકાના 'કસ્બા બીડ' ગામની. આ ગામની વસ્તી લગભગ 5 થી 6 હજાર છે. મંદિરો, જૂના શિલાલેખો, વીરોની ખાંભીઓ અને સૌથી અગત્યનું, જમીનમાંથી હજુ પણ નીકળતા જૂના સોનાના સિક્કાઓ આ નાના ગામની સાચી ઓળખ છે.
ગ્રામજનોના મતે, વરસાદની ઋતુ શરૂ થતાં અને મૃગ નક્ષત્ર દેખાય છે, ત્યારે આ પ્રાચીન સોનાના સિક્કા ખેતરોમાં, રસ્તાના કિનારે અને ઘરોની છત પર પણ જોવા મળે છે. આ સિક્કાઓને 'સોનેરી સાંકળો' કહેવામાં આવે છે અને તે યાદવ કાળના હોવાનું માનવામાં આવે છે.
થોડા દિવસો પહેલા ગામના અક્કાતાઈ જાધવને ખેતરમાં કામ કરતી વખતે એક સોનાનો સિક્કો મળ્યો. આ સિક્કાની એક બાજુ કમળની આકૃતિ હતી અને બીજી બાજુ કેટલાક અક્ષરો કોતરેલા હતા. તેવી જ રીતે, તાનાજી યાદવ અને મહાદેવ બિડકરને પણ અલગ અલગ સમયે સોનાના સિક્કા (મુદ્રા) મળ્યા છે.
ગામમાં બીજું એક નામ ખૂબ જ પ્રખ્યાત છે તે મનોહર પાટિલ. છેલ્લા પાંચ-છ વર્ષમાં, તેમના ઘરમાંથી જ ૧૧ સોનાના સિક્કા મળી આવ્યા છે. તેમણે આમાંથી કેટલાક સિક્કા મહેમાનોને ભેટ તરીકે આપ્યા છે, જ્યારે બાકીના ભગવાનના આશીર્વાદ તરીકે ઘરના મંદિરમાં રાખવામાં આવ્યા છે. આ સિક્કા ગામના ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ ભાગોમાં સૌથી વધુ સંખ્યામાં મળી આવ્યા છે.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખા મહારાષ્ટ્રમાં આટલા બધા સોનાના સિક્કા ફક્ત 'કસ્બા બીડ' ગામમાં જ કેમ મળી આવે છે? છેલ્લા પાંચ વર્ષમાં, અહીંથી લગભગ 50 સોનાના સિક્કા મળી આવ્યા છે, તે ઉપરાંત, 210 ખાંભીઓ અને ઘણા જૂના શિલાલેખો પણ મળી આવ્યા છે. અહીંના ઘરોની સ્થાપત્ય શૈલી પણ એક પ્રાચીન રાજ્ય જેવી જ છે.