Fri May 29 2026

Logo

ભગવાનના ખાતર આ કોઈ નેશનલ ન્યૂઝ નથી... ગુસ્સે ભરાયેલા ડિરેક્ટરે કેમ આવું કહ્યું જાણો એક ક્લિક પર

2026-05-29 18:03:18
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડના જાણીતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર કરણ જોહર અવારનવાર હેડલાઈન્સમાં રહે છે પછી એ પોતાના વિવાદાસ્પદ નિવેદનો હોય કે ઈન્ડસ્ટ્રીને લઈને કોઈ ખુલાસા કરવાના હોય. હવે ફરી એક વખત કરણ જોહર ચર્ચામાં આવ્યો છે અને આ વખતે તો પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઈલને કારણે ચર્ચામાં આવ્યો છે. કરણે શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ જેવા સ્ટાર્સ સામેલ છે, તેમને અચાનક ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. સોશિયલ મીડિયા પર કરણના પગલાંના કારણે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. 

સોશિયલ મીડિયા પર આ વાત વાયુવેગે ફેલાઈ જતાં હવે કરણ જોહરે પોતે સામે આવીને આ પાછળનું ચોંકાવનારું કારણ જણાવ્યું છે. પોતાની ફોલોઇંગ લિસ્ટને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળોનો અંત લાવતા કરણ જોહરે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. મીડિયાના ક્લિકબેટ રિપોર્ટિંગ પર નારાજગી વ્યક્ત કરતા કરણે લખ્યું, આ એક ડિજિટલ ડિટોક્સ (છે. હું ઇન્સ્ટાગ્રામ પર જે સમય અને એનર્જી બગાડું છું, તેને બચાવવા માટે બધાને અનફોલો કરી રહ્યો છું. ભગવાનના ખાતર આ કોઈ નેશનલ ન્યૂઝ નથી. પ્લીઝ, ક્લિકબેટ કરવા માટે કંઈક બીજું શોધો... આ બાબત કોઈ મહત્વ નથી રાખતી.

તમને જણાવી દઈએ કે કરણ જોહરના ઇન્સ્ટાગ્રામ પર 17.5 મિલિયન (1.75 કરોડ) ફોલોઅર્સ છે, જ્યારે તે પોતે માત્ર 78 લોકોને ફોલો કરે છે. કરણે પોતાની લિસ્ટમાંથી શાહરૂખ ખાન, મનીષ મલ્હોત્રા, કરીના કપૂર, મલાઈકા અરોરા, વરૂણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, આલિયા ભટ્ટ, અનન્યા પાંડે અને કાર્તિક આર્યન જેવા દિગ્ગજ સ્ટાર્સને હટાવી દીધા છે. જોકે, રસપ્રદ વાત એ છે કે આ બધાની વચ્ચે પણ તેઓ પ્રિયંકા ચોપરાને હજુ પણ ફોલો કરી રહ્યા છે.

બોક્સ ઓફિસ પર ઝટકો અને આગામી ફિલ્મો

કરણ જોહર હાલમાં જ ધર્મા પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'ચાંદ મેરા દિલ'ને લઈને ચર્ચામાં હતા. અનન્યા પાંડે અને લક્ષ્ય સ્ટારર આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ પાસેથી મેકર્સને મોટી આશાઓ હતી, પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ કોઈ ખાસ જાદુ ચલાવી શકી નથી. હવે કરણ જોહર ટૂંક સમયમાં કાર્તિક આર્યન સાથે નવી ફિલ્મ 'નાગઝિલા' લઈને આવી રહ્યા છે, જેના પર ફેન્સની નજર ટકેલી છે.