તેલ અવીવ : ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો છે. જેમાં આઠ મુખ્ય પુલ અને લશ્કરી થાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આને "આતંકવાદી શાસન" સામેની કાર્યવાહી ગણાવી હતી. આ હુમલામાં વીજળી અને રેલવે સેવાઓ ખોરવાઇ છે. જ્યારે પ્રદેશમાં તણાવ વધુ વધ્યો છે.ઇઝરાયલ સંરક્ષણ દળો "વધુ શક્તિ અને ગતિ" સાથે ઇરાનના વ્યૂહાત્મક લક્ષ્યો પર હુમલો કરી રહ્યા છે.
અમારા હુમલા ઈરાની લોકો સામે નહીં
નેતન્યાહૂએ જણાવ્યું હતું કે ઇઝરાયલી વિમાનોએ તાજેતરમાં ઈરાની વાયુસેનાના બેઝ પર હુમલો કર્યો હતો. જેમાં પરિવહન વિમાનો અને ત્યાં તૈનાત ડઝનબંધ હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યા છે. ત્યારબાદ સૈન્યએ ઈરાની પુલો અને રેલ્વે ટ્રેકને નિશાન બનાવ્યા હતા. જેનો ઉપયોગ ઈરાની સૈન્ય શસ્ત્રો, કાચા માલ અને તેની સેના પરિવહન માટે કરે છે. નેતન્યાહૂએ ટિપ્પણી કરી હતી કે, "અમે સતત કહ્યું છે કે અમે ઈરાનના આતંકવાદી શાસનને કચડી રહ્યા છીએ, અને હવે અમે તે વધુ શક્તિથી કરી રહ્યા છીએ. અમારા હુમલા ઈરાની લોકો સામે નહીં, પરંતુ તે શાસન સામે છે જેણે 47 વર્ષથી તેમના પર જુલમ કર્યો છે.
ઈરાનની 130 થી વધુ એર ડિફેન્સ સિસ્ટમ તોડી પાડવામાં આવી
ઇઝરાયલી સૈન્યએ ઈરાનમાં કુલ આઠ મુખ્ય પુલોને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો છે. આ પુલો તેહરાન, કરજ, તબ્રીઝ, કાશાન અને કોમ જેવા શહેરોમાં સ્થિત છે. આ પુલોનો ઉપયોગ લશ્કરી સાધનો અને શસ્ત્રોની અવરજવર માટે કરવામાં આવી રહ્યો હતો. આઇડીએફ અનુસાર, નાગરિકોને નુકસાન ન થાય તે માટે હુમલા પહેલા ઘણી સાવચેતી રાખવામાં આવી હતી. ઇઝરાયલી સૈન્યએ મિસાઇલના ઓનબોર્ડ કેમેરાથી ફિલ્માવવામાં આવેલ હવાઈ હુમલાની અંતિમ ક્ષણોનો એક વીડિયો પ્રકાશમાં આવ્યો છે. સૈન્યનો દાવો છે કે અત્યાર સુધીમાં ઈરાનની 130 થી વધુ એર ડિફેન્સ સિસ્ટમ તોડી પાડવામાં આવી છે.