તહેરાન / ન્યૂ યોર્કઃ મધ્યપૂર્વમાં હજી પણ યુદ્ધનો માહોલ શાંત થયો નથી. બંનેમાંથી કોઈ પણ દેશ શાંતિ માટે તૈયાર થયા નથી. તેવામાં ઈરાને ફરી એકવાર વાતચીત કરવા માટે પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં યુદ્ધને પૂર્ણ કરવા અને વૈશ્વિક વેપાર માટે હોર્મુઝ સ્ટ્રેટને ફરી ખોલવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઈરાને અમેરિકાને 2 તબક્કામાં વાતચીત કરવા માટે પ્રસ્તાવ મોકલ્યો છે. પરંતુ પ્રશ્ન એ છે કે, શું અમેરિકા યુદ્ધને શાંત કરવા માંગે છે? કારણ કે, આ પહેલા પણ અમેરિકા ઈરાનને પ્રસ્તાવને ફગાવી દીધો હતો.
યુદ્ધનો કાયમી અંત લાવવા માટે વાટાઘાટોની હાકલ
આ પ્રસ્તાવની વાત કરવામાં આવે તો, પ્રથમ તબક્કામાં એક મહિનાની અંદર યુદ્ધવિરામ સ્થાપિત કરવા, યુ.એસ. મરીન દ્વારા નાકાબંધી હટાવવા અને ઈરાન અને લેબનોનમાં ચાલી રહેલા સંઘર્ષોનો કાયમી અંત લાવવા માટે વાટાઘાટોની હાકલ કરવામાં આવી છે. આ પ્રસ્તાવ પ્રમાણે ઈરાન યુદ્ધ વિરામ માટે પહેલ કરી રહ્યું છે પરંતુ ઈરાનની શરતો અમેરિકા સ્વીકારશે કે કેમ તે એક પ્રશ્ન બની ગયો છે. ઈરાના પ્રસ્તાવ પ્રમાણે હોર્મુઝને ખોલવાથી વૈશ્વિક વેપાર પર પડી રહેલી અસરને ઓછી કરી શકાશે.
અમેરિકાએ દરિયામાં પોતાની નાકાબંધીને હટાવવી પડશે
પ્રસ્તાવના બીજા તબક્કાની વાત કરવામાં આવે તો, જો પહેલા તબક્કાની વાતચીત સફળ રહે છે તો ઈરાન ન્યૂક્લિયર પ્રોગ્રામ માટે વાતચીત કરવા માટે તૈયાર છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ તેના માટે પહેલા અમેરિકાએ દરિયામાં પોતાની નાકાબંધીને હટાવવી પડશે. જેથી આ ક્ષેત્રના સંઘર્ષને ઓછો કરી શકાય! હવે અમેરિકા દ્વારા ઈરાનને આ પ્રસ્તાવ અંગે કેવો જવાબ આપવામાં આવે છે તે જોવાનું રહેશે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સ્થપાય તેના માટે પાકિસ્તાને પણ પ્રયત્નો કર્યાં હતા. તેનો કોઈ ઉકેલ તો ના આવ્યો પરંતુ પાકિસ્તાનને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું.