Sun Aug 23 2026

Logo

રવિવારથી બીજી ટેસ્ટઃ શ્રીલંકા 11 વર્ષથી ભારત સામે નથી જીતી શક્યું

Colombo   2026-08-22 22:33:33
Author: Ajay Motiwala
Article Image

PTI


યશસ્વીની આ 31મી ટેસ્ટ છે અને તમામ ટેસ્ટ અલગ મેદાન પર રમાઈ

કોલંબોઃ ભારત (India) અને શ્રીલંકા વચ્ચે રવિવાર, 23મી ઑગસ્ટે (સવારે 10.00 વાગ્યે) સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ (Test) શરૂ થશે જે જીતીને ભારત યજમાન ટીમનો 2-0થી વાઇટવૉશ કરી શકશે.

શ્રીલંકા સામે ભારતની ક્લીન સ્વીપ થશે તો એ નવાઈની વાત નહીં કહેવાય, કારણકે 11 વર્ષથી શ્રીલંકા ભારત સામે ટેસ્ટ જીતી જ નથી શક્યું. છેલ્લે 2015માં ભારત સામે શ્રીલંકાનો ટેસ્ટમાં વિજય થયો હતો. ત્યાર પછીની 11માંથી નવ ટેસ્ટમાં ભારત જીત્યું છે અને બે ટેસ્ટ ડ્રૉમાં પરિણમી છે.

યશસ્વી જયસ્વાલને જો રવિવારે રમવાનો મોકો મળશે તો એ તેની 31મી ટેસ્ટ કહેવાશે અને આશ્ચર્યની વાત એ છે કે તેની અગાઉની તમામ 30 ટેસ્ટ અલગ મેદાન પર રમાઈ હતી અને એમાં હવે કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબનું (એસએસસી)નું નામ જોડાઈ જશે.

PTI

ખાસ કરીને કૅપ્ટન શુભમન ગિલ અને ઓપનર યશસ્વી આ મૅચમાં સેન્ચુરી જેવું મોટું પરાક્રમ બતાવવા તત્પર હશે. કારણ એ છે કે ભારત ત્રણ વર્ષથી વિદેશી ધરતી પર ટેસ્ટ સિરીઝ નથી જીતી શક્યું, પણ હવે જીતવાનો સારો મોકો છે.

ઑફ સ્પિનર સારાંશ જૈન જેને કુલદીપના સ્થાને રમાડવામાં આવશે એવી થોડા દિવસથી જોરશોરથી ચર્ચા છે. હેડ-કોચ ગૌતમ ગંભીરે શનિવારે કોલંબોના મેદાન પર બૅટિંગ-કોચ સિતાંશુ કોટક, કૅપ્ટન શુભમન ગિલ અને ચીફ સિલેક્ટર અજિત આગરકર સાથે લાંબો સમય ચર્ચા કરી છે.