નવી દિલ્હી: અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ બાદ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવામાં આવ્યો હતો. જેના લીધે ભારત સહિતના અનેક દેશોમાં ક્રૂડ ઓઇલ અને એલપીજી ગેસની અછત ઉભી થઇ હતી. જેની બાદ પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા કોમર્શિયલ સિલિન્ડર પર પુરવઠા નિયંત્રણ લાગુ કરવામાં આવ્યું હતું. જોકે, હાલ કોમર્શીયલ સિલિન્ડરનો 70 ટકા સુધીનો જથ્થો પુન: સ્થાપિત કરવામાં આવ્યો છે. તેમજ યુરિયા ખાતર પ્લાન્ટ્સનો 95 ટકા પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે
147,000 ટનથી વધુ કોમર્શિયલ એલપીજી વેચાયો
આ અંગે પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે, કોમર્શિયલ એલપીજીનો લગભગ 70 ટકા પુરવઠો પુનઃસ્થાપિત થયો છે. તેમજ એપ્રિલ માસમાં અત્યાર સુધીમાં 147,000 ટનથી વધુ કોમર્શિયલ એલપીજી વેચાયો છે. તેમજ પાંચ કિલોગ્રામના સિલિન્ડરનું વેચાણ પણ સરળતાથી ચાલુ છે. જેમાં ગુરુવારે જ 81,000 થી વધુ પાંચ કિલોગ્રામના સિલિન્ડર વેચાયા હતા.
યુરિયા ખાતર પ્લાન્ટ્સનો પુરવઠો 95 ટકા સુધી પુનઃસ્થાપિત
આ ઉપરાંત યુરિયાના પુરવઠાની પુનઃસ્થાપના અને કટોકટી નિવારણ યોજના અંગે સુજાતા શર્માએ જણાવ્યું હતું કે, યુરિયા ખાતર પ્લાન્ટ્સનો 95 ટકા પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. આ પગલાંમાં સ્થાનિક રિફાઇનરીઓમાં એલપીજી ઉત્પાદન વધારવું, ક્રૂડ તેલ અને એલપીજીના કાર્ગોને સુરક્ષિત કરવા અને સ્થાનિક પુરવઠાને સુરક્ષિત રાખવા માટે ખાસ નિકાસ ફરજો લાદવાનો સમાવેશ થાય છે. આ પગલાંના પરિણામે સ્થાનિક બજારમાં કોઈ અછત સર્જાઈ નથી.