Wed Jun 17 2026

Logo

ડિજિટલ વસ્તી ગણતરી 2027: બે તબક્કામાં થશે , ₹ 11,718 કરોડનું બજેટ ફાળવાયું

2025-12-12 17:58:19
Author: mumbai samachar teem
Article Image

પહેલીવાર ડિજિટલ ગણતરીમાં 30 લાખ કર્મચારી જોડાશે, દેશને થશે ₹60,000 કરોડની બચત

નવી દિલ્હી: ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. છેલ્લે 2011માં વસ્તી ગણતરી કરી હતી ત્યાર બાદ 2021 વસ્તી ગણતરી થવાની હતી, પરંતુ કોરોનાની મહામારીને કારણે 2021માં વસ્તી ગણતરી થઈ શકી નહોતી, તેથી હવે કેન્દ્ર સરકાર 2027માં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે, જેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 11,718 કરોડનું બજેટ ફાળવાયું છે. 

પહેલી વખત ડિજિટલ વસ્તી ગણતરી થશે

આજે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. જેમાં 2027માં થનારી વસ્તી ગણતરી માટે બજેટની ફાળવણી કરવામાં આવી હતી. આ અંગે કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબેનિટે ત્રણ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. જે પૈકીનો સૌથી મહેલા નિર્ણય 2027માં થનારી વસ્તી ગણતરીને લઈને છે. દેશની સૌથી મોટી વસ્તી ગણતરીની પ્રક્રિયા માટે 11,718 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, દેશમાં પહેલી વખત ડિજિટલ વસ્તી ગણતરી થશે. આ કામગીરીમાં 30 લાખ કર્મચારીઓ જોડાશે.

કેન્દ્રીય પ્રધાને આગળ જણાવ્યું કે 2027માં બે તબક્કામાં વસ્તી ગણતરી થશે. પહેલા તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગની વસ્તી ગણતરી થશે, જે એપ્રિલથી સપ્ટેમ્બર 2026 સુધી થશે. જ્યારે બીજા તબક્કાની વસ્તી ગણતરી ફેબ્રુઆરી 2027થી થશે. બંને તબક્કાની કામગીરી વસ્તી ગણતરીના ડિજિટલ ડેટા સંરક્ષણને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે.

કોલસાનું ઐતિહાસિક ઉત્પાદન

ઉલ્લેખનીય છે કે, કેબિનેટ બેઠકમાં વસ્તી ગણતરી ઉપરાંત કોલસા સેક્ટરના ફેરફાર અને ખેડૂતોના કલ્યાણને લઈને પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, "ભારત કોલસાના ઉત્પાદનમાં આત્મનિર્ભર બની રહ્યું છે. 2024-25માં ભારતે ઐતિહાસિક એક અબજ ટન કોલસાનું ઉત્પાદન કર્યું છે. જેથી દેશમાં કોલસાની આયાત ઘટી છે, જેનાથી 60 હજાર કરોડ રૂપિયાની બચત થઈ છે.