અમદાવાદઃ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા વિધાનસભાની નાણાકીય અને બિન નાણાકીય સમિતિઓની જાહેરાત કરાઈ હતી. જેમાં રાજ્યમાં મંત્રીપદ નહીં મેળવી શકનારા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોરને મહત્વના હોદ્દા અપાયા હતા. જ્યારે પક્ષપલટુઓને પણ લહાણી કરવામાં આવી હતી.
હાર્દિક પેટેલને બિન નાણાંકીય સમિતિના અધ્યક્ષ બનાવાયા છે, જ્યારે અલ્પેશ ઠાકોરને સામાજીક પછાત વર્ગના કલ્યાણ માટેની સિમિતિમાં સ્થાન અપાયું છે. અંદાજ સમિતિના ચેરમેન તરીકે ડૉ. સી.જે. ચાવડાની પસંદગી કરવામાં આવી હતી. ચાવડા પક્ષપલટો કરીને ભાજપમાં સામેલ થયા હતા. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે પંકજ દેસાઈની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે જાહેર સાહસોની સમિતિના ચેરમેન તરીકે રમણલાલ વોરાને જવાબદારી સોંપવામાં આવી હતી.

પંચાયતી રાજ સમિતિની જવાબદારી ઉદય કાનગડને સોંપવામાં આવી હતી. ખાતરી સમિતિના અધ્યક્ષ તરીકે અમિત શાહની નિયુક્તિ કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભાની આ સમિતિઓ રાજ્યના નાણાકીય વ્યવસ્થાપન, જાહેર ખર્ચની સમીક્ષા, જાહેર સાહસોની કામગીરીના મૂલ્યાંકન તેમજ પંચાયતી રાજ સંસ્થાઓના કાર્ય પર દેખરેખ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સમિતિઓની રચના પૂર્ણ થતાં હવે વિધાનસભાની સંસ્થાગત કામગીરીને વધુ ગતિ મળશે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.