અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસના પરિણામો જાહેર થયાને ત્રણ અઠવાડિયા થઈ ગયા છે, પરંતુ વિદ્યાર્થીઓને હજુ સુધી તેમની મૂળ માર્કશીટ મળી નથી. અધિકારીઓએ માર્કશીટના ફોર્મેટ અને ડિઝાઇનમાં ફેરફારને આ વિલંબનું મુખ્ય કારણ ગણાવ્યું છે. જોકે વિદ્યાર્થીઓ અને વાલીઓ નારાજ છે કારણ કે સામાન્ય રીતે પરિણામ જાહેર થયાના એક અઠવાડિયામાં માર્કશીટ સ્કૂલમાંથી મળી જતી હોય છે.
આ વિલંબને કારણે ડિપ્લોમા અને અન્ય પોસ્ટ-એસએસસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને તકલીફ પડી હોવાાન અહેવાલો મળી રહ્યા છે. ડિપ્લોમા પ્રવેશ માટે ઓનલાઈન નોંધણી શરૂ થઈ ગઈ છે, અને માર્કશીટ અને શાળા છોડવાના પ્રમાણપત્રો જેવા દસ્તાવેજો અપલોડ કરવા ફરજિયાત છે. માર્કશીટ વિના, વિદ્યાર્થીઓ તેમની અરજીઓ પૂર્ણ કરી શકતા નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને વધુ મુશ્કેલ બને છે, કારણ કે તેમને અપડેટ્સ માટે વારંવાર સ્કૂલે જવું પડે છે.
એચએસસીના કિસ્સામાં પણ બોર્ડે 4 મેના રોજ પરિણામ જાહેર કર્યું હતું, પરંતુ વિદ્યાર્થીઓને 23 મેના રોજ જ તેમની માર્કશીટ મળી હતી.