નવી દિલ્હીઃ ઈરાન-ઈઝારયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે દુનિયાભરના દેશને ઊર્જા સંકટના એંધાણ વર્તાય છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી ઈરાને ભારતીય જહાંજને પસાર થવાની મંજૂરી આપ્યા બાદ હવે મુદ્દો સુરક્ષાનો સામે આવી રહ્યો છે. આ વિષય પર સરકારે સ્પષ્ટતા કરી છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલી તણાવગ્રસ્ત પરિસ્થિતિને કારણે સુમદ્રી સુરક્ષાને લઈ ભારત-ઈરાન વચ્ચે વાતચીત ચાલું છે.
ખાસ કોઈ સ્પષ્ટતા નહીં.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, હાલના સંજોગોમાં જે સ્થિતિ છે તેને લઈને વિદેશમંત્રી એસ. જયશંકર સાથે વાતચીત કરવામાં આવી છે. તેઓ ઈરાનના વિદેશમંત્રી સાથે ત્રણવાર વાતચીત કરી ચૂક્યા છે. બન્ને દેશના નેતાઓની હાલની વાતચીતમાં સમુદ્રી સુરક્ષાને લઈ ચર્ચા થઈ છે.
આ ઉપરાંત ભારતમાં ઊર્જા સુરક્ષાના મુદ્દે પણ વાત કરવામાં આવી છે. આ વિષય પર કોઈ ખાસ મુદ્દાની સ્પષ્ટતા કરવાનો ઈન્કાર કરતા મંત્રીએ મૌન સેવ્યું હતું. હાલના સમયમાં આ વિષય પર બીજા કોઈ મુદ્દા પર વાત કરવી ઉતાવળ મનાશે એવું કહ્યું હતું.
અઝરબૈજાનના રસ્તે ભારતીયોને મદદ
ભારત સરકાર હાલમાં ત્યાં રહેલા ભારતીયોની સુરક્ષા અને વતનવાપસીને પ્રાધાન્ય આપી રહી છે. આ માટે શક્ય એટલી મદદ મળી રહે એવા પગલાં લઈ રહી છે. જયસ્વાલે ઉમેર્યું હતું કે ઇરાનમાં આશરે 9000 ભારતીય નાગરિકો ત્યાં છે. જેમાં વિદ્યાર્થીઓ, નાવિકો, શ્રમિકો, પ્રોફેશનલ્સ, વેપારીઓ અને પ્રવાસીઓનો સમાવેશ થાય છે. ભારતીય નાગરિકો ખાસ કરીને વિદ્યાર્થીઓ પહેલાથી જ ઈરાનથી નીકળી પોતાના વતન સુધી પહોંચ્યા છે.
આ સિવાય તહેરાનમાં રહેલા ભારતીયો અને પ્રવાસીઓનો સમાવેશ થાય છે એમને પણ સુરક્ષિત રીતે ત્યાંથી ખસેડવામાં આવી રહ્યા છે. ભારતીય દૂતાવાસ શક્ય એટલી તમામ મદદ કરી રહ્યું છે, જે ભારતીય નાગરિકો ત્યાંથી ભારત આવવા માગે છે એમને અઝરબાઈજાન અને આર્મેનિયાના રસ્તેથી બહાર કાઢવા મદદ થઈ રહી છે. ભારતીય દૂતાવાસ વિઝા પ્રક્રિયામાં એમની સહાયતા કરી રહ્યું છે.
બોર્ડર પાર કરાવવા મદદ
ભારતીય નાગરિકોએ ભારતના દૂતાવાસનો સંપર્ક કર્યો હતો. એમને હવે અઝરબૈજાનના રસ્તે તથા આર્મેનિયાના રસ્તેથી બોર્ડર પાર કરી શકે એ માટે મદદ કરવામાં આવી રહી છે. અહીંથી પસાર થયા બાદ તેઓ કોઈ પણ ફ્લાઈટથી ભારત સુધી જઈ શકે છે. ઈરાનમાં રહેલા ભારતીયોને અપીલ કરૂ છું કે, જેઓ બાય-રોડ ઈરાન છોડવા માગે છે તેઓ ભારતીય દૂતાવાસે જાહેર કરેલી ગાઈડલાઈન્સનું પાલન કરે. એ પછી પોતાની જર્ની શરૂ કરે.