નવી દિલ્હી/વોશિંગ્ટન ડીસીઃ મિડલ ઈસ્ટના યુદ્ધના તણાવગ્રસ્ત માહોલમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ એવા નિવેદન આપી રહ્યા છે જેના કારણે વિશ્વ સમક્ષ એમની હવે ફજેતી થઈ રહી છે. ભારત વિશે વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ 24 કલાકમાં જ ટ્રમ્પના નિવેદનની કેસેટનો બીજો ભાગ પ્લે થઈ ગયો છે. નવી દિલ્હીમાં અમેરિકી દૂતાવાસના પ્રવક્તા ક્રિસ્ટોફર એલ્મસે સ્પષ્ટતા કરતા હવે આ વિષયમાં નવો વળાંક આવી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે 24 કલાકથી પણ ઓછા સમયમાં એક યુ-ટર્ન લઈ લીધો છે.
ભૂલનો અહેસાસ થયો હોવાનું વલણ
એવું લાગી રહ્યું છે કે એમને એમની ભૂલનો અહેસાસ થયો છે. હવે તેમણે ભારતને એક મહાન દેશ ગણાવી દીધો છે. તેમણે ગુરૂવારે ભારતની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ભારતનું નેતૃત્વ અમારા એક સારા મિત્ર કરી રહ્યા છે. નામ લીધા વગર તેમણે વડા પ્રધાન મોદીના વખાણ કર્યા હતા. આ પહેલા ટ્રમ્પે અમેરિકાના રાજકીય ટિપ્પણીકાર તથા રેડિયો હોસ્ટ માઈકલ સૈવેજેના પોડકાસ્ટમાં એક નક્સલવાદીની ટિપ્પણીને રીપોસ્ટ કરી હતી, જેમાં ભારત-ચીન તથા અન્ય દેશને નરકના દ્વાર કહ્યા હતા. નવી દિલ્હીમાં અમેરિકી દૂતાવાસના પ્રવક્તા ક્રિસ્ટોફર એલ્મસે જણાવ્યું હતું કે, ટ્રમ્પે ભારતને એક મહાન રાષ્ટ્ર ગણાવ્યું છે. ભારતના નેતા એમના ખાસ મિત્ર છે.
અમેરિકી કાયદાની ટીકા
આ પહેલા ટ્રમ્પે સૈવૈજના પોડકાસ્ટના ટ્રાંસસ્ક્રિપ્ટ તથા વીડિયો શેર કર્યા હતા. જેમાં તેમણે જન્મસિદ્ધ નાગરિકતા પર અમેરિકી સુપ્રીમ કોર્ટના તર્કની ટીકા કરી હતી. જન્મસિદ્ધ નાગરિકતાના કાયદામાં ફેરફાર કરવાની માગ કરતા પોતાના નક્સલવાદી નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. સૈવેજે એવો આરોપ લગાવ્યો હતો કે, એશિયાના દેશમાંથી લોકો નવમા મહિને અમેરિકા આવે છે અને અહીં બાળકને જન્મ આપીને તરત જ અમેરિકી નાગરિક બનાવી દે છે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા ટ્રુથ સોશિયલ પર એક પત્ર શેર કરતા કહ્યું હતું કે, આ દેશ માટે વાંધાજનક શબ્દોનો પ્રયોગ કર્યો અને જન્મસિદ્ધ નાગરિકતા સહિત અમેરિકી કાયદાની ટીકા કરી. પત્રમાં કેલિફોર્નિયાના ઔદ્યોગિક એકમમાં નિયુક્તિને લઈને દાવો કરવામાં આવ્યો કે, ત્યાં ભારત અને ચીનથી આવેલા લોકોનો દબદબો છે.
જનમતની વાત કરીને મુદ્દો વધાર્યો
પણ હકીકત એ પણ છે કે, આવા કોઈ પ્રકારના દાવા સામે કોઈ પ્રમાણ નથી. પત્રનો મુખ્ય વિષય તો જન્મસિદ્ધ નાગરિકતા અંગેની પોલિસી છે. પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, અહીંયા પેદા થનારૂ બાળક અમેરિકી નાગરિક બની જાય છે પછી ભલે તે ચીન, ભારત કે દુનિયાના કોઈ અન્ય નરકમાંથી પોતાના સમગ્ર પરિવારને અહીંયા લઈને આવે છે. આ પત્રની ભાષાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને ભારતીયોનું. આ મુદ્દાનો નિર્ણય વકીલ કે ન્યાયાલયના બદલે જનમતથી થવો જોઈએ.