રાજેશ યાજ્ઞિક
વિટામિન C એ એક આવશ્યક પોષક તત્ત્વ છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે ઘા રૂઝાવવામાં મદદરૂપ થાય છે, ત્વચા અને પેઢાંને સારી સ્થિતિમાં રાખે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને રક્તવાહિનીઓ તથા હાડકાંને મજબૂત બનાવે છે. તે અનેક મહત્વપૂર્ણ કાર્યો કરતું હોવાથી, શરીરમાં તેનો સતત પુરવઠો મળવો અત્યંત આવશ્યક છે, પરંતુ શરીર વિટામિન C બનાવી કે સંગ્રહિત કરી શકતું ન હોવાથી, તમારે તેને નિયમિતપણે ખોરાકમાંથી- મુખ્યત્વે તાજાં ફળો અને શાકભાજીમાંથી- મેળવવું જરૂરી છે. જો તમારા આહારમાં આ વસ્તુઓ પૂરતા પ્રમાણમાં સામેલ ન હોય, તો તેની ઊણપ ઉભી થાય છે, જે સમય જતાં વધુ ગંભીર સમસ્યાઓ નું કારણ બની શકે છે.
શરીરમાં વિટામિન C ની ભૂમિકા
વિટામિન C, જેને એસ્કોર્બિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પાણીમાં દ્રાવ્ય વિટામિન છે જે શરીરને સ્વસ્થ રાખવામાં ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે.
ઘા રૂઝાવવામાં મદદરૂપ છે
કોલેજનની રચનામાં તેની ભૂમિકાને કારણે, વિટામિન સી ઘાને યોગ્ય રીતે રૂઝાવવામાં મદદ કરે છે અને પેશીઓના સમારકામને ટેકો આપે છે.
રોગપ્રતિકારક શક્તિને વધારે છે
તે શ્વેત રક્તકણોને વધુ અસરકારક રીતે કાર્ય કરવામાં મદદ કરે છે અને તેમને નુકસાનથી રક્ષણ આપે છે, ચેપ સામે શરીરના સંરક્ષણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આયર્ન શોષણમાં સુધારો કરે છે
વિટામિન સી શરીરને છોડ આધારિત ખોરાકમાંથી આયર્ન શોષવામાં મદદ કરે છે, જે આયર્નની ઊણપનો એનિમિયા અટકાવવામાં મદદ કરી શકે છે.
એન્ટિઓક્સીડન્ટ તરીકે કાર્ય કરે છે
તે વૃદ્ધત્વ અને રોગમાં ફાળો આપતા કોષોને થતા નુકસાનથી રક્ષણ આપે છે. અર્થાત કે તેનાથી વૃદ્ધત્વની નિશાનીઓ જલદી આવતી નથી.
કોલાજન ઉત્પાદનને ટેકો આપે છે
કોલાજન એક પ્રોટીન છે જે સ્વસ્થ ત્વચા, હાડકાં, સાંધા, રક્તવાહિનીઓ અને જોડાયેલી પેશીઓને જાળવવામાં મદદ કરે છે. કોલેજન બનાવવા અને જાળવવા માટે વિટામિન C જરૂરી છે.
વિટામિન C ની ઉણપ શાના કારણે થાય છે?
સામાન્ય રીતે જ્યારે આ વિટામિનથી ભરપૂર આહાર પૂરતા પ્રમાણમાં ન લેવાય અથવા શરીરમાં તેનું યોગ્ય શોષણ કે તેનો ઉપયોગ ન થતો હોય ત્યારે આ વિટામિનની ઊણપ થાય છે. તાજા ફળો અને શાકભાજીનો અભાવ ધરાવતો ખરાબ આહાર, દારૂ અને માદક દ્રવ્યોનો ઉપયોગ, કેટલાક ખાવાના વિકારો, જે આપણા પોષણને અસર કરે, તાજા ખોરાકને બદલે પેકેજ્ડ, પ્રક્રિયા કરેલા પદાર્થોનો વધારે પડતો ઉપયોગ, સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓના કિસ્સામાં પોષણની માગમાં વધાર, કેન્સર અથવા ચેપ જેવી ક્રોનિક બીમારીઓ વિટામિન સીની ઊણપનું કારણ બને છે.
સ્કર્વી તરીકે ઓળખાતો રોગ
સ્કર્વી એ શરીરમાં વિટામિન C (એસ્કોર્બિક એસિડ)ની ગંભીર ઊણપને કારણે થતી સ્થિતિ છે. જ્યારે શરીરમાં લાંબા સમય સુધી (સામાન્ય રીતે 3 મહિના કે તેથી વધુ સમય માટે) વિટામિન ‘સી’નો અભાવ રહે છે, ત્યારે ‘સ્કર્વી’ (scurvy) રોગનાં લક્ષણો દેખાવા લાગે છે. 15મી અને 18મી સદી દરમિયાન, તાજાં ફળો અને શાકભાજી વિના લાંબી દરિયાઈ યાત્રાઓને કારણે નાવિકોમાં આ રોગ સામાન્ય હતો.
વાસ્કો ડી ગામાની ઐતિહાસિક યાત્રા દરમિયાન તેના સાથી નાવિકોમાં આ રોગચાળો ફાટી નીકળ્યો હતો. દેશસેવામાં સતત વ્યસ્ત આપણા સૈનિકો અપૂરતા આહારને કારણે આ રોગના શિકાર થવાનું જોખમ ધરાવે છે, ખાસ કરીને યુદ્ધના સમયગાળામાં જ્યારે તેમને ખાવા મળશે કે નહીં તે નક્કી ન હોય.
શું હોય છે લક્ષણ?
વિટામિન C ની ઉણપના લક્ષણો શરૂઆતમાં જણાતા નથી, પણ પરિસ્થિતિ ગંભીર બને ત્યારે સમજાય છે. પ્રાથમિક લક્ષણોમાં, થાક અને નબળાઈ, સોજો, પેઢામાંથી લોહી નીકળવું, સાંધા અને સ્નાયુઓમાં દુખાવો, ઉઝરડા આસાનીથી પડવા, ઘા ધીમા રૂઝવા, સૂકી, ખરબચડી ત્વચા, ત્વચા પર લાલ ફોલ્લીઓ વગેરે. ગંભીર લક્ષણોમાં ડિપ્રેશન, સાંધાનો તીવ્ર દુખાવો, દાંત પડી જવા, આંતરિક રક્તસ્રાવ, કમળો, આંચકી અને એનિમિયા (લોહીની ઊણપ) જોવા મળી શકે.
સારવાર - સંભાળ
જો વિટામિન C ની કમીનું નિદાન વહેલું કરવામાં આવે અને યોગ્ય રીતે ઉપચાર કરવામાં આવે, તો તે સારવારથી હલ થઇ શકે છે.
સારવારનો મુખ્ય ઉદ્દેશ્ય શરીરમાં વિટામિન સી નો સ્તર ફરીથી યોગ્ય કરવાનો અને આ ઊણપને કારણે ઉદ્ભવતી કોઈપણ જટિલતાઓનું નિવારણ કરવાનો હોય છે. કમીને પુરી કરવા સપ્લિમેન્ટ્સ લઇ શકાય છે.
અલબત્ત, ડોક્ટરની સલાહ લઈને જ તેમ કરવું જોઈએ. લાંબા ગાળાની સ્વસ્થતા અને રોગથી બચવા માટે આહારમાં વિટામિન-સીથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો આવશ્યક છે. ફળોમાં સંતરા, લીંબુ, સ્ટ્રોબેરી, કીવી, અનાનસ, પપૈયા અને જામફળ અને શાકભાજીમાં કેપ્સિકમ (શિમલા મરચાં), બ્રોકોલી, પાલક અને ટામેટાંનો ઉપયોગ વધારવાથી ફાયદો થાય છે.
પોષણ મૂલ્ય જાળવી રાખવા માટે તાજા અને કાચા ઉત્પાદનોનો ઉપયોગ કરો, કારણ કે વિટામિન C ગરમી અને પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોય છે. ઉપરાંત, વિટામિન સીથી ભરપૂર ખોરાકને વધુ પડતો રાંધવાનું કે ફરીથી ગરમ કરવાનું ટાળો. પ્રોટીન, સ્વસ્થ ચરબી અને આખા અનાજ ધરાવતા ખોરાક સાથે વિટામિન સીથી ભરપૂર ખોરાકનો ઉપયોગ કરો. બધા જરૂરી પોષક તત્ત્વોનો વપરાશ થાય તેની ખાતરી કરવા માટે ખોરાકની વિવિધતા પર ધ્યાન કેન્દ્રિત કરો.