Fri May 01 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 2 April 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-04-02 08:26:00
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-04-02 21:54:34

સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય ચંબલ અભયારણ્યની જમીનને ડી-નોટિફાય કરતાં પરિપત્ર પર સ્ટે મુક્યો

સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય ચંબલ અભયારણ્યની  732 હેક્ટર જમીનને ડી-નોટિફાય કરતાં પરિપત્ર પર સ્ટે મૂકતા રાજસ્થાન સરકારને ઠપકો આપ્યો છે. જેમાં કોર્ટે ગેરકાયદે ખાણકામ પર ચિંતા વ્યક્ત કરી અને સંબંધિત રાજ્યો અને કેન્દ્ર પાસેથી જવાબો માંગ્યા છે. આ કેસની આગામી સુનાવણી 11 મેના રોજ કરવામાં આવશે.

2026-04-02 21:07:14

આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ભુપેન્દ્ર પટેલને પત્ર લખી મુલાકાતનો સમય માગ્યો

અમદાવાદઃ આમ આદમી પક્ષ (આપ)ના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો અને તેમની સાથે મુલાકાત કરવા સમય માગ્યો હતો. કેજરીવાલે આ મામટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકી હતી કે ગુજરાતમાં પંચાયત અને મ્યુનિસિપલ ચૂંટણીઓ પહેલા, અમારા કાર્યકરોની મોટા પાયે ગેરકાયદે ધરપકડ કરવામાં આવી રહી છે. ૧૬૦ થી વધુ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે, અને દસ હજારથી વધુ કાર્યકરોની ધરપકડ કરવાની યોજના ચાલી રહી છે. ભાજપ તેમના પક્ષ આપની વધતી લોકપ્રિયતાથી ખૂબ જ પરેશાન છે. પરંતુ ગુજરાતના લોકો આવી ધરપકડોને પસંદ કરતા નથી, તેઓ ચોક્કસપણે જવાબ આપશે.આ દરમિયાન તેમણે એ પણ જણાવ્યું કે તેમણે  ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને મળવાનો સમય માંગ્યો છે. તેમનું કહેવું છે કે તેઓ આ સમગ્ર મામલે મુખ્ય પ્રધાન  સાથે સીધી વાતચીત કરવા માંગે છે અને પોતાની પાર્ટીના કાર્યકરોની સ્થિતિ તેમની સામે રાખવા માંગે છે. 

गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र पटेल जी को मैंने पत्र लिखकर मिलने का समय मांगा है।

गुजरात में पंचायत और नगर पालिका चुनावों के पहले अवैध रूप से बहुत बड़े स्तर पर हमारे कार्यकर्ताओं को गिरफ्तार किया जा रहा है। 160 से अधिक कार्यकर्ताओं को गिरफ्तार किया जा चुका है और अभी दस… pic.twitter.com/ieXswYN6hs

— Arvind Kejriwal (@ArvindKejriwal) April 2, 2026


 

2026-04-02 21:05:27

પશ્ચિમ બંગાળના માલદા કાંડની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી

પશ્ચિમ બંગાળના માલદામાં  SIR મુદ્દે  સાત ન્યાયિક અધિકારીઓના ઘેરાવ અને હુમલાની ઘટનાની તપાસ હવે સીબીઆઇ ને સોંપવામાં આવી છે. આ પૂર્વે સુપ્રીમ કોર્ટે આજે આ મુદ્દે પશ્ચિમ બંગાળ સરકારને કડક ભાષામાં ઠપકો આપ્યો હતો.

2026-04-02 20:15:32

ટ્રૅવિસ-અભિષેકની જોડીએ ઈડન ગજવ્યુંઃ 15.00ના રેટથી રન કર્યા

ઈડન ગાર્ડન્સમાં કોલકાતાએ ફીલ્ડિંગ પસંદ કર્યા બાદ હૈદરાબાદે પ્રથમ બૅટિંગનો ફાયદો લીધો અને પહેલી છ ઓવરમાં ધમાલ મચાવી દીધી હતી. ટ્રૅવિસ હેડ (46 રન, 21 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) અને અભિષેક શર્મા (34 નૉટઆઉટ, 14 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)ની જોડીએ 5.4 ઓવરમાં લગભગ 15.00ના રેટથી રન કર્યા હતા. બન્નેએ મળીને કુલ મળીને છ છગ્ગા અને નવ ફોર ફટકાર્યા હતા. તેમણે મુઝરબાની, વૈભવ અરોરા, સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીની બોલિંગમાં ફટકાબાજી કરી હતી. વરુણની એક ઓવરમાં પચીસ રન બન્યા હતા. એ ઓવરમાં અભિષેકે બે સિક્સર અને ત્રણ ફોર ફટકારી હતી. ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં સ્કોર 82 રન હતો ત્યારે ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીએ ટ્રૅવિસને મિડ-ઑન પર કૅમેરન ગ્રીનના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો અને વાઇસ કૅપ્ટન અભિષેક સાથે કૅપ્ટન ઇશાન કિશન જોડાયો હતો.

2026-04-02 19:56:55

યુદ્ધ વચ્ચે ઈરાને આપ્યું મોટું નિવેદન, કહ્યું ભારતીય મિત્રો સુરક્ષિત હાથોમાં

મિડલ ઈસ્ટમાં અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સતત ચાલી રહ્યું છે. તેમજ ઈરાન દ્વારા વૈશ્વિક ઉર્જાના મહત્વના જળમાર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ઈરાનનું  ભારત અંગેનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. જેમાં ઈરાને કહ્યું છે હોર્મુઝ સ્ટ્રેટ અંગે ભારતીય મિત્રોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઈરાને કહ્યું કે ભારતીય મિત્રો સુરક્ષિત હાથોમાં છે.

2026-04-02 19:48:41

પોલીસ ભરતીની શારીરિક કસોટીનું પરિણામ જાહેર

અમદાવાદઃ પોલીસ ભરતીની શારીરિક કસોટીનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ શારીરિક કસોટીમાં કુલ  2,63,354 જેટલા ઉમેદવારો પાસ થયા છે. આ ઉમેદવારોમાં કુલ 1,73,112 પુરૂષ ઉમેદવારો, 89,405 મહિલા ઉમેદવારો અને 827 જેટલા માજી સૈનિકો પાસ થયાં છે.

2026-04-02 19:25:57

કોલકાતાએ ફીલ્ડિંગ લીધીઃ હૈદરાબાદનો આતશબાજીનો શૉ શરૂ થવાની તૈયારીમાં

ઈડન ગાર્ડન્સમાં કોલકાતાના કૅપ્ટન અજિંક્ય રહાણેએ ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનું નક્કી કર્યું છે. હૈદરાબાદના હાર્ડ-હિટર્સને તોતિંગ સ્કોર નોંધાવવાની તક છે. જોકે તેમણે કોલકાતાના બોલર્સ વરુણ, મુઝરબાની, સુનીલ નારાયણ, વૈભવ અરોરા, અનુકૂલ રૉયથી ચેતવું પડશે. કોલકાતાએ મુંબઈ સામેની ઇલેવનને જાળવી રાખી છે, પરંતુ હૈદરાબાદે લેફ્ટ-આર્મ સ્પિનર શિવાંગ કુમારને ઇલેવનમાં સમાવ્યો છે. કોલકાતાની ટીમમાં રહાણે (કૅપ્ટન), ગ્રીન, રઘુવંશી (વિકેટકીપર), રિન્કુ, રમણદીપ, અનુકૂલ રૉય, સુનીલ નારાયણ, વૈભવ અરોરા, વરુણ, મુઝરબાની અને કાર્તિક ત્યાગી તેમ જ ઇમ્પૅક્ટ પ્લેયર્સમાં ફિન ઍલન, મનીષ પાન્ડે, તેજસ્વી સિંહ, સૌરભ દુબે, રૉવમૅન પૉવેલનો સમાવેશ છે. હૈદરાબાદની ટીમમાં કિશન (કૅપ્ટન, વિકેટકીપર), અભિષેક, ટ્રૅવિસ, ક્લા…

2026-04-02 18:28:20

ભારતની સંરક્ષણ નિકાસમાં 62 ટકાનો વિક્રમી વધારો

ભારતે સંરક્ષણ નિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી છે. આ અંગે માહિતી આપતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે વર્ષે 2025-26 માં  ભારતની સંરક્ષણ નિકાસ  ₹38,424 કરોડ થઈ છે. જે ગત વર્ષની સરખામણીમાં 62 ટકાનો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026 માં, સંરક્ષણ નિકાસમાં ₹14,802 કરોડની વૃદ્ધિ નોંધાઈ છે. જે દેશની અદ્યતન ઉત્પાદન ક્ષમતા અને તેના આત્મનિર્ભર સંરક્ષણ ઉદ્યોગની મજબૂતાઈ પર ભાર મૂકે છે.

2026-04-02 17:41:44

હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ચીનનું મોટું નિવેદન, કહ્યું તમામ પક્ષો સાથે વાતચીત ચાલુ

અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. તેમજ યુદ્ધની શરુઆતથી જ ઈરાને વૈશ્વિક ઉર્જા માટે મહત્વના એવા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો છે. જેના લીધે અનેક દેશોના ઉર્જા સંકટ સર્જાયું છે. જોકે, હોર્મુઝ સ્ટ્રેટને ખોલાવવા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાથ ઊંચા કરી દીધા છે. તેવા સમયે હવે ચીને આ મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમજ કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટને ખોલાવવા અંગે તમામ પક્ષો સાથે વાતચીત કરી રહ્યું છે.

2026-04-02 17:23:04

ગુજરાત સરકારે વડોદરાના ભાયલી વિસ્તારમાં અશાંતધારાનો કાયદો લાગુ કર્યો

અમદાવાદઃ ગુજરાત સરકારે ડભોઈ વિધાનસભા મતવિસ્તાર હેઠળના ભાયલી વિસ્તારના કેટલાક ભાગોમાં અશાંત વિસ્તાર અધિનિયમ (અશાંત ધારા) લાગુ કર્યો છે. હાલમાં ટાઉન પ્લાનિંગ (ટીપી) યોજનાઓ 3 અને 4માં આ નવા કાયદાનો અમલ થશે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) દ્વારા રાજ્ય સરકારને કરવામાં આવેલી અનેક રજૂઆતો બાદ આ પગલું લેવામાં આવ્યું છે. તેમણે 2022ના ચૂંટણી પ્રચાર દરમિયાન સ્થાનિક લોકોને આ મામલે વચન આપ્યું હતું, તેવી માહિતી સૂત્રોએ આપી હતી. મહેતાએ આ મામલે જણાવ્યું હતું કે  આ કાયદો વિસ્તારમાં સલામતી અને સુરક્ષા વધારશે. તેમણે ઉમેર્યું કે ભવિષ્યમાં સમગ્ર ભાયલી વિસ્તારને અશાંત વિસ્તાર કાયદા હેઠળ લાવવાના પ્રયાસો ચાલુ રહેશે.

2026-04-02 16:33:40

ટીએમસી સાથે જોડાયેલી કંપની I-PAC પર ઇડીના દરોડા, તપાસ શરૂ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ઇડીએ ટીએમસી સાથે જોડાયેલી કંપની  I-PAC ના અનેક કેમ્પસમાં એક સાથે દરોડા પાડ્યા છે. આ અંગે ઈડીએ જણાવ્યું છે કે અમને મળેલા ઈનપુટના આધારે આ દરોડામાં નવેસરથી તપાસ હાથ ધરવામાં આવશે.

2026-04-02 15:27:57

માલદા કાંડ મુદ્દે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને ઠપકો આપ્યો

પશ્ચિમ બંગાળના માલદાના કાલિયાચકમાં SIR મુદ્દે ગ્રામજનોએ ત્રણ મહિલા સહિત સાત ન્યાયિક અધિકારીઓનો ઘેરાવ કર્યો હતો અને તેમને બંધક બનાવ્યા હતા. જે મુદ્દે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. તેમજ આ ઘટનાને ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ પાડવો અને અધિકારીઓનું મનોબળ નીચું કરવાનો  પૂર્વયોજિત, સુનિયોજિત અને પ્રેરિત  પ્રયાસ ગણાવ્યો હતો.

2026-04-02 13:54:23

રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ડેપ્યુટી લીડર પદેથી હટાવાયા

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યસભામાં તેમને ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા છે. આપ સાંસદ અશોક મિત્તલ રાજ્યસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર બનશે.

2026-04-02 08:46:36

ગુજરાતમાં ઠેર ઠેર હનુમાન જયંતીની ઉજવણી

ગુજરાતમાં આજે ઠેર ઠેર હનુમાન જયંતીની ઉજવણી થઈ રહી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત રાજ્યભરમાં આવેલા હનુમાન મંદિરમાં સવારથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા છે. તેમજ કેટલીક જગ્યાએ ભંડારાનું પણ આયોજન કરાયું છે.

2026-04-02 08:27:44

ઈન્ડોનેશિયામાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ

ઈન્ડોનેશિયામાં આજે સવારે 7.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપના ઝટકાએ ઘણી ઇમારતોને નુકસાન પહોંચાડ્યું યહોવાના અહેવાલ છે. આ સાથે જ સુનામીની લહેરો ઊઠવાની પણ આશંકા સેવાઇ રહી છે. આ કુદરતી આપદામાં અત્યારસુધીમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

2026-04-02 08:27:11

સાળંગપુરમાં હૈયે હૈયું દળાય તેવી સ્થિતિ

હનુમાન જયંતી નિમિતે સાળંગપુરમાં દાદાના દર્શન કરવા માટે વહેલી સવારમાં જ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. સમગ્ર મંદિર પરિસરમાં દાદાની સવારની આરતીના દર્શન કરવા માટે ભક્તોનું હૈયે હૈયું દળાય તેવી સ્થિતિ હતી. આજે સાળંગપુર મંદિરમાં સવારે મંગળા એવં શણગાર આરતી બાદ હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. તેમજ વિશ્વશાંતિ મારુતિ યજ્ઞ, દાદાને 108 ધજા, દિવ્ય અન્નકુટ, મહા અન્નક્ષેત્ર અને મહા સંધ્યા આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.