કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી હિંસા વકરતી જાય છે. બુધવારે મોડી રાતના ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (પીએ) ચંદ્રનાથ રથ પર ફાયરિંગ કરવામાં આવતા મૃત્યુ નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર આ બનાવ મધ્યમગ્રામમાં બન્યો હતો. ફાયરિંગમાં ચંદ્રકાંત અને ડ્રાઈવર ગંભીર રીતે ઈજા પહોંચી હતી, જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન ચંદ્રકાંતનું મૃત્યુ નિપજ્યું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.
ચંદ્રનાથ શુભેન્દુ અધિકારીના બહુ નજીકમાં હતા, જેઓ પાંચ વર્ષથી તેમની સાથે પડછાયાના માફક કામગીરી કરી હતી. મધ્યમગ્રામ ખાતે જ્યારે ચંદ્રનાથને નિશાન બનાવવામાં આવ્યા ત્યારે તેઓ જાહેર સ્થળ પર જ હતા. હુમલાખોરોએ તેમના પર નજીકથી ફાયરિંગ કર્યું હતું, જ્યાં ઘટનાસ્થળે મોત થયું હતું. પીએની હત્યાના ખબર મળતા શુભેન્દુ અધિકારી તાત્કાલિક મધ્યમગ્રામ ખાતે પહોંચ્યા છે. હુમલાખોરોએ ચંદ્રનાથ પર પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ બનાવ અંગે પોલીસે જણાવ્યું છે કે મધ્યમગ્રામ પોલીસ અને એરપોર્ટ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. ચંદ્રનાથ એક બ્લેક કલરની સ્કોર્પિયોમાં હતા ત્યારે હુમલાખોરો બાઈક પર આવીને નિશાન બનાવ્યા હતા. કારની પણ તસવીર વાયરલ થઈ છે, જેમાં કારના કાચ પર ગોળીના નિશાન જોવા મળ્યા છે. આ બનાવ પછી ભાજપ તરફથી આકરી પ્રતિક્રિયા મળી છે. તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી) ચૂંટણીમાં હારી ગયા પછી હિંસક બની ગઈ છે. ચંદ્રનાથની હત્યા પાછ ટીએમસીના કાર્યકરો દ્વારા કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે.
કઈ જગ્યાએ હુમલો કરવામાં આવ્યો?
બનાવ અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે સૌથી પહેલા ચંદ્રનાથની કારને મધ્યમગ્રામના દોહાડિયા નજીક રોકવામાં આવી હતી, ત્યાર પછી બાઈક પર સવાર હુમલાખોરોએ તેના પર ફાયરિંગ કર્યું હતું. ચંદ્રનાથ ચંદિતાલાનો રહેવાસી હતા, જેઓ મધ્યમગ્રામ જઈ રહ્યા હતા, ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો.
અહીં એ જણાવવાનું ચોથી મેના પશ્ચિમ બંગાળમાં પરિણામો આવ્યા પછી ટીએમસી અને ભાજપની વચ્ચે હિંસક અથડામણો થઈ છે. આ બનાવ સિવાય છેલ્લા 24 કલાકમાં અલગ અલગ બનાવમાં ચાર લોકોની હત્યા થઈ છે, જેમાં બે ભાજપ અને બે ટીએમસી લોકોનો સમાવેશ થાય છે.