આણંદઃ વાસદમાં થોડા દિવસ પહેલા એક ચાર વર્ષની માસૂમ બાળકીની હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ કેસમાં મુખ્ય આરોપી સુરેશ પરમારને પોલીસે ફાયરિંગમાં ઠાર કર્યો હતો. જે બાદ આણંદમાં બાળકીના બળાત્કારીને ઠાર મારનારા પોલીસો માટે હર્ષ સંઘવીએ મોટી વાત કહી હતી.
બાળકીના બળાત્કારીને ઠાર મારનારા પોલીસો માટે હર્ષ સંઘવીએ શું કહ્યું ?
હર્ષ સંઘવીએ કહ્યું કે, એક ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારા અને અગાઉ પણ આવા ગંભીર ગુનાઓમાં સામેલ આરોપીએ પોલીસ પર ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના જવાબમાં પોલીસે પોતાના સ્વ બચાવ માટે ફાયરિંગ કર્યું હતું. આવી ગુનાહિત માનસિકતા ધરાવતા ગુનેગારોને કાબુમાં રાખવા એ રાજ્ય પોલીસની મુખ્ય ફરજ છે. બાળકીના બળાત્કારીને ઠાર કરતી વખતે બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા. તેમની ખબર અંતર પૂછવા હર્ષ સંઘવી આણંદની હૉસ્પિટલમાં આવ્યા ત્યારે તેમણે આ વાત કરી હતી.
શું છે મામલો
આરોપી સુરેશ પરમારે માસૂમ બાળકીનું અપહરણ કરીને તેની નિર્મમ હત્યા કરી હતી. એટલું જ નહીં પરંતુ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બોરસદ રૂરલ પોલીસ દ્વારા આરોપીની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પોલીસ આરોપીને આણંદ લાવી રહી હતી, તે દરમિયાન આરોપીએ ઊલટી થતી હોવાનું બહાનું કાઢીને વાહન ઊભું રખાવ્યું હતું. આ દરમિયાન તેણે પાસે રાખેલી છરી વડે પોલીસ કર્મચારી પર હુમલો કરીને ભાગવાનો પ્રયત્ન કર્યો જેમાં બે પોલીસ કર્મચારી ઘાયલ થયા હતાં. પીએસઆઈ દ્વારા વારંવાર ચેતવણી આપવામાં આવી હોવા છતાં પણ આરોપી માન્યો નહીં, જેથી પોલીસે સ્વ-બચાવમાં ગોળીબાર કર્યો હતો.