Wed Aug 19 2026

Logo

સંસદમાં વિપક્ષના હોબાળા પર અમિત શાહનો વળતો પ્રહાર: ‘સરકાર દરેક મુદ્દે ચર્ચા કરવા તૈયાર, વિપક્ષ ૩ વાગ્યા સુધીમાં સ્પીકરને પત્ર સોંપે’

2026-08-12 13:08:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ સંસદ સત્ર શરૂ થયાને ત્રણ અઠવાડિયા થઈ ગયાં છે, કરોડો રૂપિયાનું પાણી થઈ ગયું છે પરંતુ હજી સદનમાં આ સત્રની કાર્યવાહી વ્યવસ્થિત રીતે થઈ નથી. વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા હોબાળાના કારણે કાર્યવાહી સતત સ્થગિત થતી આવી છે. વિપક્ષ દ્વારા અમિત શાહ સદનમાં આવી જવાબ આપે તેવી માંગણી સાથે હોબાળો કરવામાં આવ્યો હતો. આ મામલે અમિત શાહે મીડિયા સાથે વાત કરતા મહત્વપૂર્ણ વાત કરી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વિપક્ષને આજે બપોરે ત્રણ વાગ્યાં સુધીમાં પ્રશ્નો અને કયા મુદ્દો ચર્ચા કરવી છે તેનો પત્ર તૈયાર કરીને સ્પીકરને આપવા માટે કહ્યું છે. ચાલો વિગતે જાણીએ...

સંસદમાં ચાલી રહેલા હોબાળા વિચ્ચે આજે પહેલી વખત કેન્દ્રીય ગૃહ પ્રધાન મીડિયા સામે આવ્યાં છે. મીડિયા સાથે વાત કરતા અમિત શાહે કહ્યું કે, ‘વિપક્ષ તૈયાર હોય તે સરકાર દરેક ચર્ચા માટે તૈયાર છે. હું કોઈ પણ ચર્ચા માટે જવાબ આપવા તૈયાર છું. પરંતુ વિપક્ષ ઈચ્છતું જ નથી કે સદનમાં ચર્ચા થાય.’ આ રીતે અમિત શાહે વિપક્ષ પર વાક્ પ્રહાર કર્યો છે. વધુમાં કહ્યું કે, વિપક્ષે નક્કી કરવાનું છે કે, તેમને ચર્ચા કરવી છે કે નહીં!

વિપક્ષ સંસદને ચાલવા નથી દેતુંઃ અમિત શાહ

મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું કે, ‘લાપતા અને ભાગેડુ જેવા શબ્દો ખૂબ જ સાંભળવા મળી રહ્યાં છે, જો કે, હું તો આ સત્ર શરૂ થયું ત્યારથી નિયમિત રીતે સંસદમાં આવી રહ્યો છું. હું મારી ચેમ્બરમાં બેઠો હોઉ છું. પરંતુ વિપક્ષ સંસદને ચાલવા નથી દેતું તો શું કરી શકીએ? જ્યાં સુધી વાત ચર્ચાની છે તો સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ સ્પષ્ટપણે કહ્યું કે, સરકાર નીટ પ્રોટેસ્ટ મામલે ચર્ચા કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે’.

 

વિપક્ષ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સ્પીકરને પત્ર આપી દે

મહત્વની વાત એ છે કે, અમિત શાહે વિપક્ષને બપોરે ત્રણ વાગ્યાં સુધીનો સમય આપ્યો છે. અમિત શાહે કહ્યું કે, વિપક્ષ આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સ્પીકરને પત્ર સુપરત કરી દે. અમે આજે બપોરે ત્રણ વાગ્યાથી લઈને કાલે ત્રણ વાગ્યા સુધી તમામ પાસાઓ પર ચર્ચા કરવા તૈયાર છીએ. આ સાથે અમિત શાહે એ પણ કર્યું કે, આ દરમિયાન તેઓ પણ ગૃહમાં હાજર રહેશે, તમામ મુદ્દાઓને સાંભળશે અને તેનો જવાબ પણ આપશે. અમિત શાહે સ્પષ્ટરીતે કહ્યું કે, એનડીએ સરકાર પાસે છુપાવવા માટે કઈ જ નથી. તે સંપૂર્ણ રીતે દરેક મુદ્દાઓ પર ચર્ચા કરવા અને જવાબ આપવા માટે તૈયાર છે. હવે જોવાનું એ રહે છે કે, વિપક્ષ દ્વારા આ મામલે શું નિર્ણય લેવામાં આવે છે? વિપક્ષ ચર્ચા માટે તૈયાર થાય છે કે, પછી સદનમાં હલ્લાબોલ ચાલુ રાખે છે!