Fri Jul 24 2026

Logo

સતત ટ્રાફિકના કારણે સાણંદ-વિરમગામ હાઈવે બંધ, હજુ પણ કેટલાક વાહનો ઠપ

2026-07-24 22:38:00
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં તા.23 અને 24 જુલાઈ એમ બે દિવસ સતત વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો બીજા દિવસે રસ્તા પર બંધ થયેલા વાહનોને કારણ રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. 24 જુલાઈના શુક્રવારે સાંજે સાણંદ વિરમગામ હાઈવે પર ટ્રાફિક જામ થઈ જતા અનેક વાહનચાલકો અટવાયા હતા. વાહનોની લાઈન જોવા મળી હતી. લાંબા અંતર સુધી વાહનોનો ખડકલો રસ્તા પર જોવા મળ્યો હતો. 

રસ્તા પર વાહનો ઠપ
કર્ણાવતી ક્લબ પાછળની સોસાયટીમાં તો ફસાયેલા લોકોના રેસ્ક્યૂ માટે આર્મી ઉતારવાની ફરજ પડી. મુખ્યમંત્રી ખુદ પણ ગાંધીનગરથી અમદાવાદ દોડી આવ્યા અને બોપલ-આંબલીના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. પ્રહલાદનગર, એસ.જી. હાઈવે, ઈન્દિરા માર્ગ, આશ્રમ રોડ, એપીએમસી માર્કેટ, વિશાલા સર્કલ, રિંગ રોડ અને યુનિવર્સિટી રોડ પર અનેક વાહનો ઠપ થઈ જતા 24 કલાક સુધી પડી રહ્યા હતા.

સાયન્સ સિટીથી લઈને જજીસ બંગલા સુધી અને થલતેજથી લઈને લાલ દરવાજા સુધી અનેક વાહનોને પુલિંગ અને ટો કરવાની જરૂર પડી હતી. માત્ર ટુ વ્હીલર્સ જ નહીં ફોર વ્હીલર્સ પણ મોટી સંખ્યામાં બંધ પડી જતા લોકો પરેશાન થઈ ગયા હતા. કાર મેકેનિક અને ટુ વ્હિલર્સ રીપેરિંગ વાળને ત્યાં રીતસરની લાઈન લાગી હતી.

મુખ્યમંત્રીએ લીધી સ્થળની મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે સ્થળ પર મુલાકાત કરીને વરસાદી પાણીના ઝડપી નિકાલ, રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહેલી કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી અને તંત્રને જરૂરી તમામ પગલાં ઝડપી લેવા સૂચના આપી હતી. સ્થિતિની વાસ્તવિક જાણકારી મેળવવા મુખ્યમંત્રી પોતે જ પાણીમાં ઉતરી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ કરીને તેમની મુશ્કેલીઓ અને જરૂરિયાતો વિશે માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી વધુ ઝડપી બનાવવા, પાણીના નિકાલની કામગીરીમાં તેજી લાવવા તેમજ જરૂરી માનવબળ, મશીનરી અને અન્ય તમામ સાધનો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાની સૂચનાઓ આપી હતી. સાથે જ અસરગ્રસ્ત લોકોને ઝડપથી જરૂરી સહાય પહોંચે તેની પણ ખાસ તાકીદ કરવામાં આવી હતી.