અમદાવાદઃ ગાંધીનગર અને અમદાવાદમાં સમયાંતરે પાણીજન્ય રોગચાળો વકર્યો હોવાના અહેવાલ આવે છે. ચોમાસા દરમિયાન આ રોગનું પ્રમાણ વધી જતું હોય છે. ગુજરાત વિધાનસભામાં અમદાવાદ અને ગાંધીનગરમાં પાણી જન્ય રોગોનો સવાલ પૂછાયો હતો.
કોણે પૂછ્યો પ્રશ્ન
આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ પૂછ્યું કે, 31-01-2026ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં અમદાવાદ શહેર અને ગાંધીનગર શહેરમાં પાણી જન્ય રોગોના કારણે કેટલા લોકોએ સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી, એક સાથે મોટા પ્રમાણમાં દર્દીઓ આવવાના શા કારણો છે અને છેલ્લા એક વર્ષમાં પાણી જન્ય રોગોને કારણે કેટલા લોકોના મૃત્યુ થયા?
અમિત ચાવડાના સવાલનો જવાબ આપતાં આરોગ્ય પ્રધાને કહ્યું, 31-01-2026ની સ્થિતિએ અમદાવાદમાં ઝાડા-ઉલ્ટીના 5823, કમળાના 2615, ટાઈફોઈડના 3399 અને કોલેરાના 91 કેસ મળી કુલ 11,928 કેસ નોંધાયા છે. જ્યારે ગાંધીનગરમાં ઝાડા-ઉલ્ટીના 1173, કમળાના 208, ટાઈફોઈડના 603 અને કોલેરાના 12 કેસ નોંધાયેલા છે.
ગાંધીનગર શહેરમાં ડિસેમ્બર 2025 થી જાન્યુઆરી 2026 દરમિયાન પીવાના પાણીની લાઈનમાં લીકેઝ થવાના કારણે ગટરના પાણી સાથે મિશ્રિત થવાની ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. એક વર્ષમાં શહેરમાં પાણી જન્ય રોગોના કારણે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.