નોઇડા: ઉત્તર પ્રદેશના નોઈડામાં હિંસા ભડકાવવાના કાવતરાના મુખ્ય સૂત્રધાર આદિત્ય આનંદની પોલીસે તમિલનાડુથી ધરપકડ કરી છે. નોઈડામાં હિંસા બાદ આદિત્ય આનંદ પોતાનો દેખાવ બદલીને ત્યાંથી ભાગી ગયો હતો. ગૌતમ બુદ્ધ નગરના પોલીસ કમિશનર લક્ષ્મી સિંહે આ ધરપકડની પુષ્ટિ કરી હતી. એસટીએફ અને નોઈડા પોલીસની અનેક ટીમો વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી હતી. જેમાં આખરે તમિલનાડુથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
નોઈડામાં મજૂર સંગઠનોને ઉશ્કેર્યા હતા
આ પૂર્વે આ હિંસાના મુખ્ય સૂત્રધારો રૂપેશ રાય, સૃષ્ટિ, મનીષા અને આકૃતિ અને આદિત્ય આનંદે સાથે મળીને જ માનેસર હિંસા પાછળનું કાવતરું ઘડ્યું હતું. ત્યારબાદ તેમણે નોઈડામાં મજૂર સંગઠનોને ઉશ્કેર્યા અને 13 એપ્રિલના રોજ હિંસા ભડકી હતી. જોકે રૂપેશની ધરપકડ બાદ આદિત્ય આનંદે દાઢી મુંડાવી અને વાળ કાપી નાખ્યા હતા. તેમજ પોતાનો વેશ બદલ્યો અને તમિલનાડુ ભાગી ગયો હતો.
કામદારોને ભેગા થવા માટે આદિત્ય આનંદ અને તેમના સાથીઓએ ઉશ્કેર્યા
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે 13 એપ્રિલે મધરસન કંપની સામે કામદારોને ભેગા થવા માટે આદિત્ય આનંદ અને તેમના સાથીઓએ ઉશ્કેર્યા હતા.13 એપ્રિલે કામદારોના વિરોધને શાંત કર્યા પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બે હેન્ડલ્સે ખોટા સમાચાર ફેલાવ્યા. આ વિરોધ દરમિયાન કામદારો આ X પોસ્ટ જોતા જોવા મળ્યા. ત્યારબાદ હિંસા ફાટી નીકળી હતી.